For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લગ્ન આડે માત્ર 18 દિવસ બાકી હતા અને મેજર ચિત્રેશ બિષ્ટ શહીદ

- પિતા લગ્નની કંકોત્રીઓ વહેંચી રહ્યા હતા અને દીકરાની શહાદતના સમાચાર મળ્યા

- શનિવારે રાત્રે રાજૌરીમાં આતંકીઓએ મૂકેલા બોમ્બને ડિફ્યૂઝ કરવા જતાં વિસ્ફોટ થતા મેજર શહીદ થયા

Updated: Feb 17th, 2019

Article Content Image

(પીટીઆઈ) દહેરાદૂન, તા.17 ફેબ્રુઆરી, 2019, રવિવાર

પુલવામા હુમલા બાદ નાપાક પાકિસ્તાને શનિવારે જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ IED નામના બોમ્બ ફિટ કર્યા હતા. આ અંગેની માહિતી મળતા તેને ડિફ્યુઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 

મેજર ચિત્રેશ બિષ્ટ બોમ્બ ડિફ્યુજલ ગુ્રપની આગેવાની કરી રહ્યા હતા અને ત્રણ બોમ્બ ડિફ્યુઝ કર્યા બાદ ચોથા બોમ્બને નિષ્ક્રિય કરતી વખતે બ્લાસ્ટ થતા તેઓ શહીદ થયા હતા. આ બ્લાસ્ટમાં અન્ય એક જવાન ઘાયલ થતા વધુ સારવાર માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

ઉત્તરાખંડના દહેરાદૂનના રહેવાસી ૩૧ વર્ષીય મેજર બિષ્ટના આગામી ૭મી માર્ચે લગ્ન થવાન હતા. તેમના પિતા સુરેન્દ્ર સિંહ બિષ્ટ નિવૃત ઇન્સપેક્ટર છે અને તેઓ દીકરાના લગ્નની કંકોત્રી વહેંચીને પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને આ સમાચાર મળ્યા હતા. મેજર બિષ્ટની શહાદતના સમાચાર મળતા જ આસપાસના લોકો તેમના ઘરે સાંત્વના પાઠવવા પહોંચી ગયા હતા.

પિતાએ અનેક વખત લગ્નની તૈયારીઓ માટે રજા લઈને ઘરે આવવા કહ્યું હતું પરંતુ પોતાની ફરજને મહત્વ આપીને તેમણે ઘરે જવાનું ટાળ્યુ હતું. તેઓ ભારતીય સૈન્ય એકેડમી, દહેરાદૂનથી ૨૦૧૦માં પાસઆઉટ થયા હતા અને અભ્યાસમાં ખૂબ જ હોંશિયાર હતા. મેજર રેન્કની પરીક્ષામાં તેમણે ૯મો રેન્ક મેળવ્યો હતો અને તેઓ સેનાની એન્જિનિયરીંગ કોરમાં તહેનાત હતા.

૭ વર્ષની ફરજ દરમિયાન તેમણે ૩૦થી વધારે  IED ડિફ્યુઝ કર્યા હતા અને થોડા સમય પહેલા જ એન્જિનિયરીંગની સર્વોચ્ય આલ્ફા અવોર્ડ પદવી મેળવી હતી. સોમવારે તેમના વિદેશમાં સ્થાયી ભાઈના આવ્યા બાદ હરિદ્વાર ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ઉત્તરાખંડના રાજ્યપાલ બેબી રાની મૌર્ય અને પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત સહિત તમામ રાજકીય નેતાઓએ મેજર બિષ્ટને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

Gujarat