બે મિત્રોને બચાવ્યા પણ પોતે ડૂબ્યો: નર્મદા નદીના ઘાટ પર બે દુર્ઘટના, એકનું મોત એક ગુમ
Omkareshwar, Madhya Pradesh : મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના તીર્થસ્થાન ઓમકારેશ્વર ખાતે નર્મદા નદીમાં ડૂબી જવાની બે અલગ-અલગ ઘટનામાં એકનું યુવકનું મોત અને એક ગુમ હોવાનું સામે આવ્યું છે. એક ઘટનામાં મિત્રો સાથે પરિવારના સભ્યની અસ્થિ વિસર્જન કરવા આવેલા ત્રણ યુવકો નદીમાં ડૂબ્યા હતા. જેમાં સ્થાનિક ખલાસીઓએ બે યુવકોને બચાવી લીધા હતા. જ્યારે બીજી એક ઘટનામાં નદીમાં નહાવા પડેલા યુવકનું મોત નીપજ્યું હતું.
પરિવારના સભ્યના અસ્થિ વિસર્જન કરવા આવેલા યુવકનું મોત
મળતી માહિતી મુજબ, પહેલી ઘટના નર્મદા-કાવેરી સંગમ ઘાટ પર સર્જાઈ હતી. જેમાં મહારાષ્ટ્રાના માલેગાંવથી આવેલા કૃષ્ણા પવાર (ઉં.વ.32) પોતાના બે મિત્રો સાથે પરિવારના સભ્યની અસ્થિ વિસર્જન કરવા માટે આવ્યા હતા. જેમાં અસ્થિ વિસર્જન કરવા માટે નદીમાં ત્રણેય યુવકો ઉતર્યા હતા, આ દરમિયાન નદીના ઊંડા પાણીમાં ત્રણેય ડૂબ્યા હતા. આ ઘટનામાં કૃષ્ણાએ પોતાના બે મિત્રને બચાવી લીધા હતા, પરંતુ ખુદ ડૂબી જતાં સ્થાનિકો દ્વારા તેની શોધખોળ શરૂ છે.
આ પણ વાંચો: કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ બાદ સરકાર સફાળી જાગી, ચાર ધામ યાત્રાને લઈને મોટો નિર્ણય
બ્રહ્મપુરી ઘાટ પર નદીમાં ડૂબવાથી એકનું મોત
જ્યારે અન્ય એક ઘટના બ્રહ્મપુરી ઘાટ પર સર્જાઈ હતી. જયપુરના રહેવાસી 25 વર્ષીય અનિલ મીણા આધ્યાત્મિક યાત્રા કરવા માટે અહીં આવ્યો હતો. જેમાં બ્રહ્મપુરી ઘાટ પર નહાતી વખતે નદીની ઊંડાણ વાળી જગ્યાએ જતાં અનિલ ડૂબવા લાગ્યો હતો. તેવામાં સ્થાનિક ખલાસીઓ દ્વારા અનિલને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરે અનિલને મૃત જાહેર કર્યો હતો.
'લાખો શ્રદ્ધાળુઓ આવે છે...'
ઓમકારેશ્વરમાં નર્મદા નદીના ઘાટ પર થઈ રહેલી ઘટનાઓને લઈને શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. તેમનું કહેવું છે કે, 'ઓમકારેશ્વર દેશનું મુખ્ય જ્યોતિર્લિંગ તીર્થ છે, અહીં વાર્ષિક લાખો શ્રદ્ધાળુઓ નર્મદા સ્નાન માટે આવે છે. તેમ છતાં ઘાટ પર ન તો લાઈફગાર્ડ છે કે ચેતવણી સંકેત અને ન તો બેરિકેડિંગની કોઈ સુવિધા.'
આ પણ વાંચો: પૂણે પુલ દુર્ઘટના: PM મોદીએ ફડણવીસ સાથે ટેલિફોનિક વાતચીત કરી, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
સ્થાનિક લોકોનું કહેવું છે કે, 'અકસ્માતોનો આ સિલસિલો છેલ્લા 20 વર્ષથી ચાલી રહ્યો છે. તેનું મુખ્ય કારણ એ છે કે, ઓમકારેશ્વર ડેમમાંથી પાણી બંધ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે ઘાટ પર પાણી ઓછું રહે છે. જ્યારે શ્રદ્ધાળુઓ સ્નાન માટે પાણીમાં ઊંડા ઉતરવાથી એજ એમના માટે વધુ જીવલેણ સાબિત થાય છે. છેલ્લા બે દાયકામાં નર્મદા ઘાટ પર ડૂબવાથી સેંકડો લોકો મૃત્યુ પામ્યા છે, પરંતુ અત્યારસુધી આનો કોઈ કાયમી ઉકેલ મળ્યો નથી.'