પૂણે પુલ દુર્ઘટના: PM મોદીએ ફડણવીસ સાથે ટેલિફોનિક વાતચીત કરી, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
Pune Bridge Collapse : મહારાષ્ટ્રના પૂણેના કુંદમાલા વિસ્તારમાં આવેલી ઈન્દ્રાયણી નદી પરનો જર્જરિત બ્રિજ આજે 15 જૂને અચાનક ધરાશાયી થતાં અનેક લોકો તણાયા હોવાની આશંકા છે. જેમાં 3 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે 38 લોકોને રેસ્ક્યૂ કરીને બચાવી લેવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ શોક વ્યક્ત કર્યો છે. પૂણે પુલ દુર્ઘટના મામલે વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. જેમાં ફડણવીસે આ દુર્ઘટનામાં પ્રભાવિત લોકોની સહાયતા માટે કરવામાં આવેલા પ્રયાસો અંગે વડાપ્રધાનને માહિતી આપી હતી. સમગ્ર ઘટના મામલે કોંગ્રેસ સવાલો ઉઠાવ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રીએ શું કહ્યું?
પૂણે પુલ દુર્ઘટના મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, 'પૂણેની દુર્ઘટનાને લઈને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે વાત કરી અને પરિસ્થિતિની જાણકારી મેળવી હતી. NDRFની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી અને બચાવ કામગીરી કરીને અનેક લોકોના જીવ બચાવવામાં આવ્યા. જે પરિવારોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે, તેમના પ્રતિ સંવેદના. ઈજાગ્રસ્ત વહેલીતકે સ્વસ્થ થાય તેવી પ્રાર્થના...'
કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, 'પૂણે જિલ્લાના ઈન્દોરીના તાલેગાંવ પાસે ઈન્દ્રાયણી નદી પરનો પુલ પડવાની દુઃખદ ઘટના છે. મારી સંવેદના પીડિતોના પરિવારની સાથે છે અને અન્ય પર્યટકો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરુ છું. અસરગ્રસ્ત લોકોને શોધવા અને બચાવવા માટે દિવસ-રાત કામ કરી રહેલી બચાવ ટીમોના અથાક સમર્પણને હું સલામ કરું છું.'
સરકાર પર નિશાનો સાધતાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યું કે, 'આવી અટકાવી શકાય તેવી આપત્તિઓ સત્તામાં રહેલા લોકોને અર્થપૂર્ણ પ્રશ્નો પૂછવાની માંગ કરે છે. આ દુર્ઘટના માટે જવાબદાર તમામ વ્યક્તિઓને કાયદાના સંપૂર્ણ તાકાત હેઠળ જવાબદાર ઠેરવવામાં આવે તે જરૂરી છે.'