Odisha Tobacco Ban : ઓડિશા સરકારે રાજ્યમાં લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તમાકુ અને નિકોટિન યુક્ત ઉત્પાદનો પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો મોટો નિર્ણય લીધો છે. 21 જાન્યુઆરીએ જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, હવે સમગ્ર ઓડિશામાં ગુટખા, પાન મસાલા, જર્દા અને ખૈની જેવા પદાર્થોના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર સદંતર પ્રતિબંધ લાદી દેવાયો છે.
સુપ્રીમ કોર્ટ અને FSSAIની માર્ગદર્શિકાનું પાલન
સરકારે આ કડક નિર્ણય સુપ્રીમ કોર્ટ અને FSSAI દ્વારા જારી કરવામાં આવેલી ગાઈડલાઈન્સના આધારે લીધો છે. સ્વાસ્થ્ય અધિકારીઓના મતે તમાકુ અને નિકોટિનના સેવનથી મોં અને ગળાનું કેન્સર તેમજ અન્ય જીવલેણ બીમારીઓ થવાનું જોખમ રહેલું છે, જે ખાસ કરીને યુવા પેઢી માટે ખૂબ જ નુકસાનકારક છે.
આ પણ વાંચો : ટ્રમ્પની નવી કરતૂતથી ભારત-ચીનનું વધ્યું ટેન્શન, જાણો શું કર્યું
આવકના બદલે આરોગ્યને પ્રાધાન્ય
ઓડિશામાં વર્ષ 2013માં પણ આ પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા, પરંતુ અન્ય રાજ્યોમાંથી આ ઉત્પાદનોની હેરાફેરી થતી હોવાને કારણે તેનો કડક અમલ થઈ શક્યો ન હતો. વિધાનસભામાં રજૂ કરાયેલા આંકડા મુજબ, છેલ્લા 11 વર્ષમાં તમાકુના વેચાણથી સરકારને અંદાજે 6596 કરોડ રૂપિયાની આવક થઈ છે. વર્ષ 2024-25માં જ આ આવક વધીને 1048 કરોડ રૂપિયા સુધી પહોંચી હતી. જોકે, મુખ્યમંત્રી મોહન ચરણ માઝીની સરકારે આવક કરતા લોકોના સ્વાસ્થ્યને વધુ મહત્વ આપીને આ ઐતિહાસિક નિર્ણય લીધો છે.
નિયમોના ભંગ બદલ કડક સજા
નવી માર્ગદર્શિકા મુજબ, જો કોઈ વ્યક્તિ તમાકુ યુક્ત પદાર્થોનું પેકેજિંગ અથવા વેચાણ કરતા પકડાશે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સરકારે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ આ નિયમોનું પાલન કરે અને રાજ્યને 'તમાકુ મુક્ત ઓડિશા' બનાવવાના અભિયાનમાં સહભાગી બને.
આ પણ વાંચો : સોના અને ચાંદીના ભાવમાં મોટી ઉથલપાથલ, જાણો લેટેસ્ટ કિંમત


