Get The App

ભારતની સાઇલેન્ટ કિલર INS અરિદમન! 3500 કિ.મી. દૂર સુધી પરમાણુ હુમલો કરવા સક્ષમ, જાણો વિશેષતાઓ

Updated: Apr 3rd, 2026

GS TEAM

Google News
Google News
ભારતની સાઇલેન્ટ કિલર INS અરિદમન! 3500 કિ.મી. દૂર સુધી પરમાણુ હુમલો કરવા સક્ષમ, જાણો વિશેષતાઓ 1 - image
 Image X

INS Aridaman commissioning ceremony 2026: ભારતની દરિયાઈ સુરક્ષા હવે લોખંડી કિલ્લા જેવી મજબૂત બની ગઈ છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે ભારતીય નૌસેનાના બેડામાં સ્વદેશી ટૅક્નોલૉજીથી સજ્જ પરમાણુ સબમરીન INS અરિદમન(INS Aridaman)ને સામેલ કરી છે. આ માત્ર એક સબમરીન નથી, પરંતુ પાણીની નીચે છુપાયેલો એવો શક્તિશાળી યોદ્ધા છે જે ભારતની નો-ફર્સ્ટ-યુઝ પરમાણુ નીતિને સુરક્ષા કવચ પૂરું પાડે છે.

હિંદ મહાસાગરમાં ભારતની બાદશાહત

ભારત હવે એવા ગણ્યાગાંઠ્યા દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે જેમની પાસે ન્યુક્લિયર ટ્રાયડ (જમીન, આકાશ અને સમુદ્ર ત્રણેય જગ્યાએથી પરમાણુ હુમલો કરવાની ક્ષમતા) છે. INS અરિદમન અરિહંત શ્રેણીની ત્રીજી પરમાણુ સબમરીન (SSBN) છે, જે લાંબા સમય સુધી સમુદ્રના પેટાળમાં છુપાઈને દુશ્મન પર પ્રહાર કરી શકે છે.

ઘાતક હથિયારોથી સજ્જ 

INS અરિદમનની પ્રહાર ક્ષમતા અગાઉની સબમરીન કરતાં અનેકગણી વધારે છે. K-4 બેલિસ્ટિક મિસાઇલથી સજ્જ. આ સબમરીન 3500 કિમીની મારક ક્ષમતા ધરાવતી K-4 મિસાઇલથી સજ્જ છે, જે દુશ્મન દેશના દૂરના શહેરોને પળવારમાં તબાહ કરી શકે છે. સાગરિકા મિસાઇલથી સજ્જ 750 કિમી સુધી સચોટ નિશાન સાધતી આ મિસાઇલ ટૂંકા અંતરના લક્ષ્યો માટે અત્યંત કારગત છે. અગાઉના મોડલ કરતાં આમાં 8 મિસાઇલ લોન્ચ ટ્યુબ આપવામાં આવી છે, જેનો અર્થ છે કે તે વધુ સંખ્યામાં મિસાઇલો સાથે લઈ જઈ શકે છે.

આ પણ વાંચો : અચ્છે દિન! ચા, રાંધણ ગેસ, કરિયાણું અને દવાથી લઈને ટોલટેક્સ બધું જ મોંઘું, લોકોનું બજેટ ખોરવાયું

90% સ્વદેશી ટૅક્નોલૉજીનો અદ્ભુત નમુનો

વિશાખાપટ્ટનમના શિપ બિલ્ડિંગ સેન્ટરમાં નિર્મિત આ સબમરીન મેક ઇન ઇન્ડિયાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સબમરીનનો 90 ટકાથી વધુ હિસ્સો ભારતમાં જ ડિઝાઇન અને તૈયાર કરાયો છે. ભારતીય એન્જિનિયરો દ્વારા તૈયાર કરાયેલ પરમાણુ રિએક્ટર તેને અઠવાડિયા સુધી પાણીની નીચે રહેવાની શક્તિ આપે છે. આધુનિક ટોર્પિડો ટ્યુબ્સ અને ઍડ્વાન્સ સોનાર સિસ્ટમ તેને ઊંડા પાણીમાં પણ સુરક્ષિત રાખે છે.

કેમ ખાસ છે INS અરિદમન?

સામાન્ય સબમરીનને વારંવાર સપાટી પર આવવું પડે છે, પરંતુ પરમાણુ સબમરીન હોવાને કારણે અરિદમનને શોધવી દુશ્મન માટે લગભગ અશક્ય છે. તે ભારતને સેકન્ડ સ્ટ્રાઇકની ગેરંટી આપે છે, એટલે કે જો કોઈ દેશ ભારત પર પહેલો પરમાણુ હુમલો કરે, તો ભારત સમુદ્રના પેટાળમાંથી વળતો પ્રહાર કરીને દુશ્મનનો નાશ કરી શકે છે. INS અરિદમનનું નૌસેનામાં આગમન ચીન અને પાકિસ્તાન જેવા પડોશી દેશો માટે સ્પષ્ટ સંદેશ છે કે ભારતની દરિયાઈ સીમાઓ હવે સંપૂર્ણપણે અભેદ્ય છે.