ખુશખબર! હવે હેલ્થ અને લાઇફ ઇન્શ્યોરન્સ પર નહીં લાગે કોઈ GST, જાણો કેટલું સસ્તુ થશે પ્રીમિયમ
GST exemption on Insurance : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં અને તમામ રાજ્યોના મંત્રીઓની હાજરીમાં મળેલી GST કાઉન્સિલની બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કાઉન્સિલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માંથી આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમને સંપૂર્ણ મુક્તિની જાહેરાત કરી છે. આ મુક્તિ 22 સપ્ટેમ્બર 2025 એટલે કે નવરાત્રિના પહેલા દિવસથી લાગુ થશે.
હવે હેલ્થ અને લાઇફ ઇન્શ્યોરન્સ પર નહીં લાગે કોઈ GST. હાલમાં, આરોગ્ય અને ટર્મ વીમા પર 18% GST વસૂલવામાં આવે છે. જ્યારે હવે મુક્તિ બાદ તેમાં પ્રીમિયમ લગભગ 15% સસ્તા થઈ શકે છે. જોકે, આ પગલાથી સરકારને દર વર્ષે 1.2 થી 1.4 અબજ ડોલરનું મહેસૂલ નુકસાન થઈ શકે છે.
HSBCના અહેવાલ મુજબ, પ્રીમિયમમાં ઘટાડો થવાથી વીમાની માંગમાં વધારો થશે, પરંતુ કંપનીઓને 3-6% ની અસર થઈ શકે છે. કારણ કે જૂના રિન્યુઅલને ફરીથી કિંમત આપવામાં 12-18 મહિનાનો સમય લાગી શકે છે. આ ઉપરાંત, ખર્ચ ગુણોત્તર અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)ની ઉપલબ્ધતા નક્કી કરશે કે ડિસ્કાઉન્ટનો લાભ ગ્રાહકો સુધી કેટલી હદ સુધી પહોંચશે.
આ પણ વાંચો: '33 જીવન રક્ષક દવાઓ પર હવે 0% GST', નાણા મંત્રી નિર્મલા સીતારમણની મોટી જાહેરાત
ટેક્સ સ્લેબમાં મોટો ફેરફાર
કાઉન્સિલની 56મી બેઠકમાં ટેક્સ માળખાને બે મુખ્ય સ્લેબ - 5% અને 18% માં બદલવાની પણ મંજૂરી આપવામાં આવી છે. જ્યારે લક્ઝરી અને 'સિન ગુડ્સ' (જેમ કે તમાકુ, સોફ્ટ ડ્રિંક્સ અને હાઇ-એન્ડ વાહનો) પર 40% નો દર નક્કી કરવામાં આવ્યો છે. આ ફેરફાર પછી, 12% અને 28% સ્લેબ નાબૂદ કરવામાં આવશે. આવશ્યક ચીજવસ્તુઓ 5% ટેક્સ સ્લેબમાં રાખવામાં આવશે, જ્યારે મોટાભાગની વસ્તુઓ અને સેવાઓ 18% ટેક્સ સ્લેબ હેઠળ આવશે.
આ પણ વાંચો: 5% અને 18%... હવે માત્ર 2 ટેક્સ સ્લેબ હશે, GST કાઉન્સિલની બેઠકમાં લેવાયો નિર્ણય
જીવન જરૂરી વસ્તુ સસ્તી
કેન્દ્ર સરકારે દિવાળી પહેલા GST રિફોર્મની જાહેરાત કરી છે, ત્યારે રોજબરોજની જરૂરિયાતની વસ્તુઓ સસ્તી થશે. હવે હેર ઓઇલ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, ટોઇલેટ સાબુ, ટૂથબ્રશ અને શેવિંગ ક્રીમ પર GST 18% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. તેવી જ રીતે, માખણ, ઘી, ચીઝ, ડેરી સ્પ્રેડ, પેક્ડ નમકીન, ભુજિયા, વાસણો, બાળકો માટે ફીડિંગ બોટલ અને નેપકિન્સ, ક્લિનિકલ ડાયપર અને સીવણ મશીન પરનો ટેક્સ પણ 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. હવે 33 જીવન રક્ષક દવાઓ પર કોઈ પ્રકારે ટેક્સ લેવામાં નહીં આવે.