5% અને 18%... હવે માત્ર 2 ટેક્સ સ્લેબ હશે, GST કાઉન્સિલની બેઠકમાં લેવાયો નિર્ણય
GST Meet : જીએસટી કાઉન્સિલે આજે (3 સપ્ટેમ્બર) યોજાયેલી બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કાઉન્સિલે જીએસટી માટે બે સ્લેબ 5 ટકા અને 18 ટકાનું નવું માળખું મંજૂર કર્યું છે. આ સાથે વર્તમાન 12 ટકા અને 28 ટકાના ટેક્સ સ્લેબ રદ કરી દેવામાં આવ્યા છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાયેલી આ બે દિવસીય બેઠક આવતીકાલે (4 સપ્ટેમ્બર) પૂરી થશે.
લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર 40% GST
જોકે, લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર 40% GST લાગશે. મીડિયા રિપોર્ટ મુજબ બેઠકમાં લેવાયેલા તમામ નિર્ણયે 22 સપ્ટેમ્બરથી લાગુ થઈ શકે છે. બેઠક બાદ હિમાચલ પ્રદેશના મંત્રી રાજેશ ધર્માણીએ કહ્યું કે, બેઠકમાં હાજર તમામ સભ્યો જીએસટી દરને યોગ્ય બનાવના પક્ષમાં સહમત થયા છે. હવે પાંચ ટકા અને 18 ટકા ટેક્સ સ્લેબ હશે, જ્યારે કેટલીક લક્ઝરી વસ્તુઓ પર 40 ટકા જીએસટી લાગુ થશે.
અનેક ઉત્પાદનો સસ્તા થશે
સૂત્રોના જણાવ્યા મુજબ 12 ટકા જીએસટી સ્લેબમાં કુલ 99 ટકા સામાનનો સમાવેશ થતો હતો, હવે આ સામાનો પર પાંચ ટકા જીએસટી લાગુ પડશે. જ્યારે જે સામાનો પર 28 ટકા સ્લેબ લાગુ પડતો હતો, તેને હવે 18 ટકામાં લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે હવે આ નિર્ણયના કારણે અનેક ઉત્પાદનો સસ્તા થઈ જશે.
નવા કર માળાખાથી 93,000 કરોડ રૂપિયાની આવકની ખોટ થશે
નવા કર માળખાને કારણે સરકારને 93,000 કરોડ રૂપિયાની આવકની ખોટ થઈ શકે છે. જોકે, લક્ઝરી અને હાનીકારક વસ્તુઓ પર 40% નો નવો સ્લેબ લાગુ કરવાથી 45,000 કરોડની વધારાની આવક થવાની શક્યતા છે, જે નુકસાનની અમુક અંશે ભરપાઈ કરી શકે છે. આ બેઠકમાં રાજ્યોને થનારી આવકની ખોટ માટે વળતર આપવા અંગે કોઈ સ્પષ્ટ નિર્ણય લેવાયો નથી. પંજાબના નાણા પ્રધાન હરપાલ સિંહ ચીમાએ જણાવ્યું કે, રાજ્યોને નુકસાન થશે, પરંતુ આ નિર્ણય લોકોના હિતમાં લેવાયો છે.
વરિષ્ઠ નાગરિકો માટે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં રાહત
મીડિયા રિપોર્ટ મુજબ, 2500 રૂપિયા સુધીના ફૂટવેર અને એપેરલ પરનો જીએસટી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. હાલમાં, 1000 રૂપિયાથી વધુ કિંમતની વસ્તુઓ પર 12 ટકા જીએસટી લાગુ પડે છે. વરિષ્ઠ નાગરિકો માટે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમને જીએસટીમાંથી મુક્તિ મળી શકે છે અને જીવન બચાવતી દવાઓ પરનો ટેક્સ પણ ઘટાડવામાં આવશે. માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSME) માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા ત્રણ દિવસમાં પૂરી કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત, ટેક્સટાઈલ, ફાર્મા, કેમિકલ અને ફર્ટિલાઈઝર જેવા ક્ષેત્રોમાં અટવાયેલા રિફંડને સાત દિવસમાં ક્લિયર કરવાની પણ સંમતિ આપવામાં આવી છે.