NEET પેપર લીક: 18 વર્ષની ભાગ્યશ્રીની આત્મહત્યા બાદ દેશભરમાં શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

NEET Paper Leak News : દેશમાં વર્ષોથી કથળેલી પરીક્ષા પદ્ધતિનું પરિણામ હવે માત્ર પેપર લીક સુધી મર્યાદિત નથી રહ્યું, પરંતુ તે ભારતના હોનહાર યુવાનોના સપનાઓ અને જિંદગીને હોમી રહ્યું છે. NEET UG 2026 પરીક્ષા રદ્દ થવા અને ફરીથી પરીક્ષા (Re-Exam) યોજાવાના કારણે સર્જાયેલા ગંભીર માનસિક તણાવ વચ્ચે કર્ણાટકના કલબુર્ગીમાં 18 વર્ષની વિદ્યાર્થીની ભાગ્યશ્રીએ આત્મહત્યા કરીને પોતાનો જીવ ગુમાવી દીધો છે. 12મા ધોરણમાં 92 ટકા માર્ક્સ મેળવનારી ભાગ્યશ્રીના આ પગલાથી તેના પરિવાર સહિત સમગ્ર દેશમાં ભારે આઘાત અને શોકની લાગણી વ્યાપી ગઈ છે.
સોશિયલ મીડિયા પર આક્રોશ: શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ
આ દુઃખદ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ વિદ્યાર્થીઓ અને નાગરિકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. હતાશા અને તણાવમાં જીવતા યુવાનો હવે સત્તાવાળાઓ સામે સવાલો ઉઠાવી રહ્યા છે અને દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તાત્કાલિક રાજીનામાની માંગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક યુઝરે લખ્યું કે, "નીટ પેપર લીકના કારણે કોઈ વિદ્યાર્થીના મોતનો આ છઠ્ઠો કિસ્સો છે. દેશનો યુવાન સરકારની ભૂલોની સજા ભોગવી રહ્યો છે." જ્યારે અન્ય યુઝર્સે બ્લેક માર્કેટમાં પ્રશ્નપત્રો વેચતા પેપર લીક માફિયાઓ સામે આકરા પ્રહારો કર્યા છે.

'આ સિસ્ટમનું ફેલિયર છે, બાળકોનું નહીં'
વિદ્યાર્થીઓમાં વધી રહેલા આ માનસિક આઘાત (ટ્રોમા) પર દેશના જાણીતા મનોચિકિત્સકોનું કહેવું છે કે, આ બાળકોની નબળાઈ નથી પરંતુ દેશની પરીક્ષા પ્રણાલી અને પસંદગી પ્રક્રિયાનું સૌથી મોટું ફેલિયર છે. જ્યારે કોઈ મધ્યમવર્ગીય વિદ્યાર્થી પોતાની વર્ષોની મહેનત આ રીતે પાણીમાં જતી જુએ છે ત્યારે તેનો આખો આત્મવિશ્વાસ ડગી જાય છે. નિષ્ણાતોના મતે સરકારે માત્ર પરીક્ષા સુધારવા પર જ નહીં, પરંતુ દરેક કોચિંગ હબ અને જિલ્લા સ્તરે વિદ્યાર્થીઓ માટે તાત્કાલિક 'ઇમરજન્સી મેન્ટલ હેલ્થ કાઉન્સિલિંગ' અને હેલ્પલાઇન શરૂ કરવી જોઈએ.
સીકર, લખીમપુરથી લઈને કર્ણાટક સુધી માત્ર દર્દ
પેપર લીક અને પરીક્ષાઓની અનિશ્ચિતતાના આ 'સિન્ડ્રોમ'ના કારણે માત્ર ભાગ્યશ્રી જ નહીં, પરંતુ તાજેતરમાં જ સીકર (રાજસ્થાન) માં પણ નીટ પરીક્ષા રદ્દ થતાં જ વિદ્યાર્થી પ્રદીપ મેવાલે આત્મહત્યા કરી લીધી હતી, જે પ્રથમ પરીક્ષામાં 650થી વધુ માર્ક્સ અપેક્ષિત રાખતો હતો. આ જ રીતે ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં પણ પોતાના ત્રીજા પ્રયાસમાં સંપૂર્ણ આત્મવિશ્વાસ ધરાવતા એક વિદ્યાર્થીએ પેપર લીકના સદમામાં આવીને પોતાનો જીવ ટૂંકાવી દીધો હતો. દેશભરના વિદ્યાર્થીઓ હવે સોશિયલ મીડિયા તેમજ જમીની સ્તરે પ્રશાસન સામે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે અને પરીક્ષા પદ્ધતિમાં તાત્કાલિક પારદર્શિતા લાવવાની માંગ કરી રહ્યા છે.









