India

રામ મંદિરમાં દાન ચોરી કરનારા જેલમાં કેદ આરોપીઓએ કબૂલ્યા અનેક રહસ્યો, ચોરીની આખી સિસ્ટમ જણાવી

By GS Team
1 Jul 20262 mins read
TukuTouch Logo
અયોધ્યાના શ્રી રામ મંદિરમાં દાન ચોરી કેસમાં તપાસ એજન્સીઓ સક્રિય બની છે. પોલીસે જેલમાં બંધ આરોપીઓની 2 કલાક પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા થયા છે. આરોપીઓએ CCTVથી બચવા માનવ કવચ રચી, બાથરૂમમાં રકમ છુપાવી ચોરી કરી હતી. બેંક ઓફ બરોડાએ ઓનલાઈન દાનની જ જવાબદારી સ્વીકારી. પોલીસ હવે બેંક ખાતા અને મિલકતોની ઊંડી તપાસ કરી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રામ મંદિરમાં દાન ચોરી કરનારા જેલમાં કેદ આરોપીઓએ કબૂલ્યા અનેક રહસ્યો, ચોરીની આખી સિસ્ટમ જણાવી

Ayodhya Ram Mandir Donation Theft Case 2026: અયોધ્યામાં પ્રભુ શ્રી રામ મંદિરના ચઢાવામાંથી કરોડો રૂપિયાની ચોરીના મામલે તપાસ એજન્સીઓ એક્શન મોડમાં આવી ગઈ છે. કોર્ટની વિશેષ મંજૂરી મળ્યા બાદ પોલીસની ટીમે જિલ્લા જેલમાં બંધ આરોપીઓની અંદાજે બે કલાક સુધી આકરી પૂછપરછ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પૂછપરછ દરમિયાન આરોપીઓએ ચોરી કરવાની પદ્ધતિ (મોડસ ઓપરેન્ડી), રકમ છુપાવવાના સ્થળો અને મંદિર પરિસરની સુરક્ષા વ્યવસ્થાની ખામીઓ અંગે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પોલીસ હવે આરોપીઓના દાવાઓના આધારે બેંક ખાતાઓ, મિલકતો અને નાણાકીય વ્યવહારોની ઊંડી તપાસ કરી રહી છે.

સીસીટીવી કેમેરાથી બચવા રચાતું માનવ કવચ, બાથરૂમનો થતો ઉપયોગ

પૂછપરછ દરમિયાન સામે આવેલો સૌથી મોટો દાવો ચોરીની પદ્ધતિને લઈને છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપીઓએ કબૂલાત કરી છે કે જ્યારે દાનની રકમની ગણતરી થતી હતી, ત્યારે એક વ્યક્તિ તેમાંથી નોટોના બંડલ સરકાવી લેતો હતો અને બાકીના સાથીદારો તેની આસપાસ એવી રીતે કવચ (ઘેરો) બનાવીને ઊભા રહી જતા જેથી સીસીટીવી કેમેરા કે અન્ય કર્મચારીઓની નજર તેના પર ન પડે. રકમ કાઢ્યા બાદ તેને તરત બહાર લઈ જવાને બદલે પહેલા મંદિર પરિસરના જ એક બાથરૂમમાં છુપાવી દેવાતી હતી. ત્યારબાદ તક મળતાં જ આ આખી રકમ પરિસરની બહાર મોકલી અંદરોઅંદર વહેંચી લેવાતી હતી. આરોપીઓને પરિસરમાં લાગેલા કેમેરાના લોકેશન અને બ્લાઇન્ડ સ્પોટ્સની પણ પૂરેપૂરી માહિતી હતી.

બેંક ઓફ બરોડાનો ખુલાસો અને ખાતાઓની તપાસ

આ કેસમાં પોલીસે બેંક ઓફ બરોડા (BoB) ને નોટિસ પાઠવીને માહિતી માંગી હતી, જેનો બેંકે લેખિત જવાબ આપ્યો છે. બેંકે સ્પષ્ટ કર્યું છે કે તેની ભૂમિકા માત્ર ક્યુઆર (QR) કોડ અને ઓનલાઈન માધ્યમથી મળતા દાન પૂરતી મર્યાદિત છે, જે સીધી બેંકિંગ સિસ્ટમમાં જમા થાય છે. રોકડા ચઢાવાની ગણતરી, પેકિંગ કે સુરક્ષામાં બેંકનો કોઈ હસ્તક્ષેપ હોતો નથી. રામ જન્મભૂમિ ટ્રસ્ટને મળતા કુલ દાનનો 10 થી 15 ટકા હિસ્સો જ ઓનલાઈન આવે છે, જ્યારે મોટો વ્યવહાર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા થાય છે. પોલીસે મુખ્ય આરોપી અવિનાશ શુક્લા અને મનીષ યાદવના ખાતાની વિગતો મેળવી છે, જ્યારે સુપ્રિયા મિશ્રા નામનું કોઈ ખાતું શાખામાં મળ્યું નથી.

ટ્રસ્ટના હોદ્દેદારોના નામોની ચર્ચા અને આગામી કાર્યવાહી

ગયા અઠવાડिये પોલીસે આ કેસમાં ટિન્નુ યાદવ, સુભાષ શ્રીવાસ્તવ, અનુકલ્પ મિશ્રા સહિતના લોકોની ધરપકડ કરી હતી. પૂછપરછમાં આરોપીઓએ દાન ગણતરી પ્રક્રિયામાં ટ્રસ્ટ સાથે જોડાયેલા અનિલ મિશ્રાની મુખ્ય ભૂમિકા હોવાનો દાવો કર્યો છે. જો કે, પોલીસે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. તપાસ દરમિયાન સામે આવ્યું કે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયના ખાતામાં લાંબા સમયથી કોઈ મોટો વ્યવહાર થયો નથી, જ્યારે અનિલ મિશ્રાએ તાજેતરમાં ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માટે ₹20 લાખની બેંક લોન લીધી હતી. પોલીસ આ તમામ પાસાઓનું સીસીટીવી ફૂટેજ અને દસ્તાવેજો સાથે મિલાન કરી રહી છે.