માલેગાંવના મુસ્લિમ ધર્મગુરુની માગ, પાક સામે લડવા સેના તૈયાર કરે મુસ્લિમ રેજિમેન્ટ
Updated: Feb 17th, 2019
નવી દિલ્હી,તા.17.ફેબ્રુઆરી 2019 રવિવાર
પુલવામા હુમલા બાદ દેશભરમાં પાકિસ્તાન સામે ઉકળાટ છે ત્યારે દેશવાસીઓના ગુસ્સાનો પડઘો પાડતા મુસ્લિમ ધર્મગુરુ તેમજ માલેગાંવના પૂર્વ ધારાસભ્ય મુફ્તી ઈસ્માઈલ કાસમીએ કહ્યુ છે કે પાકિસ્તાન પર હુમલો કરવા માટે ભારતીય સેનામાં વિશેષ મુસ્લિમ રેજિમેન્ટ તૈયાર કરવામાં આવે.
તેમનુ કહેવુ છે કે સરકાર મારી માંગણી સ્વીકારે તો હું 25000 મુસ્લિમ યુવાઓને તેમાં સામેલ કરવા માટે તૈયાર કરી શકું છું.પાકિસ્તાને જે કર્યુ છે તે જઘન્ય અને ઈસ્લામની વિરુધ્ધ છે.જો આ હિંસા ઈસ્લામ અને મુસ્લિમોના નામ પર કરવામાં આવી રહી હોય તો હું ભારત સરકારને વિંનતી કરુ છું કે મને મુસ્લિમ રેજિમેન્ટ બનાવવા માટે મદદ કરે.જે પાકિસ્તાન સામેની લડાઈને આગળ વધારશે.એક માત્ર માલેગાંવમાંથી જ હું 25000 યુવાઓની ભરતી કરવા માટે મદદ કરીશ.
પૂર્વ ધારાસભ્ય કાસમીએ આતંકવાદી હુમલા બાદ માલેગાંવમાં પાકિસ્તાન વિરોધી પ્રદર્શનનુ આયોજન કર્યુ હતુ.તેમણે આ પ્રદર્શનમાં કરેલા ભાષણમં કહ્યુ હતુ કે પાકિસ્તાન કાશ્મીરમાં ઈસ્લામના નામ પર આતંક ફેલાવી રહ્યુ છે.આ ગુંડાગર્દી છે અને તેનો કોઈ ધર્મ નથી.