Get The App

મુંબઈમાં મોડી રાત્રે ફ્રિઝ બ્લાસ્ટ થતા એક જ પરિવારના ત્રણ લોકોના મોત, આખું ઘર બળીને ખાખ

Updated: Jan 10th, 2026

GS TEAM

Google News
Google News
મુંબઈમાં મોડી રાત્રે ફ્રિઝ બ્લાસ્ટ થતા એક જ પરિવારના ત્રણ લોકોના મોત, આખું ઘર બળીને ખાખ 1 - image


પ્રતિકાત્મક તસવીર 


Mumbai Fire News : મુંબઈના ગોરેગાંવ પશ્ચિમ સ્થિત ભગતસિંહ નગરમાં શનિવારે, 10 જાન્યુઆરીએ વહેલી સવારે લગભગ 3 વાગ્યે એક ઘરમાં ફ્રિઝ બ્લાસ્ટ થયા બાદ આગ લાગવાની દુર્ઘટના બની હતી. આ ભીષણ દુર્ઘટનામાં એક જ પરિવારના ત્રણ લોકોના ગૂંગળામણને કારણે મૃત્યુ થયા છે, જેમાં બે પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે.

આગ કાબૂમાં પણ પરિવાર હોમાયો 

ઘરમાં આગ લાગવાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબૂ મેળવી લીધો હતો, પરંતુ ઘરમાં સૂઈ રહેલા ત્રણ લોકોને બચાવી શકાયા ન હતા. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં ગૂંગળામણને કારણે એક મહિલા સહિત ત્રણ લોકોના મોત થયા છે.

મુંબઈ ફાયર બ્રિગેડ વિભાગને આગ લાગ્યાની જાણ સવારે 3:06 વાગ્યે મળી હતી. વિભાગ તરફથી જણાવવામાં આવ્યું કે ઘરમાં આગ ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર પરના વીજળીના વાયરોમાં લાગી હતી, જે બાદ તે ઘરમાં રાખેલા અન્ય સામાન સુધી ફેલાઈ ગઈ હતી. વિભાગે વધુમાં જણાવ્યું કે ફાયર બ્રિગેડના જવાનો પહોંચે તે પહેલાં, સ્થાનિક લોકોએ ડોલથી પાણી નાખીને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને સૌથી પહેલા વીજળીનો પુરવઠો કાપી નાખ્યો હતો.

ઘરમાં હાજર ત્રણેય લોકોને ટ્રોમા કેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. એક અધિકારીએ જણાવ્યું કે મૃતકોની ઓળખ હર્ષદા પાવસ્કર (19), કુશલ પાવસ્કર (12) અને સંજોગ પાવસ્કર (48) તરીકે થઈ છે.