CDS બિપિન રાવતને લઈને જઈ રહેલું હેલિકોપ્ટર ક્રેશ, ગુરૂવારે સંસદમાં નિવેદન આપશે રાજનાથ સિંહ
Updated: Dec 8th, 2021
- સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે બિપિન રાવતના પરિવારજનોની મુલાકાત લીધી
નવી દિલ્હી, તા. 08 ડિસેમ્બર, 2021, બુધવાર
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ગુરૂવારે સંસદમાં હેલિકોપ્ટર દુર્ઘટના સાથે સંકળાયેલી જાણકારી આપશે. તમિલનાડુના કુન્નૂર ખાતે બુધવારે બપોરના સમયે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતને લઈને જઈ રહેલું સેનાનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. દુર્ઘટના સમયે સીડીએસ બિપિન રાવત ઉપરાંત તેમના પત્ની અને સેનાના અન્ય અધિકારીઓ પણ તેમાં ઉપસ્થિત હતા. હેલિકોપ્ટરમાં કુલ 14 લોકો સવાર હતા અને દુર્ઘટના બાદ તરત જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને દુર્ઘટના સાથે સંકળાયેલી જાણકારી આપવામાં આવી હતી. આ દુર્ઘટનામાં 13 લોકોના મૃત્યુ થયા હોવાની પૃષ્ટિ થઈ છે. તમામ મૃતદેહ એટલી હદે વિક્ષત છે કે, તેમની ઓળખ માટે ડીએનએ ટેસ્ટનો સહારો લેવામાં આવશે.
રાજનાથ સિંહે સીડીએસ બિપિન રાવતના દિલ્હી સ્થિત આવાસની મુલાકાત લીધી હતી. દુર્ઘટના બાદ બિપિન રાવતના જિલ્લા પૌડી ગઢવાલના ધારી મંદિર ખાતે પૂજા-અર્ચના શરૂ થઈ ગઈ હતી અને લોકોએ સીડીએસના સારા સ્વાસ્થ્ય માટે કામના કરી હતી.
દુર્ઘટનાનો ભોગ બન્યું તે Mi-17V-5 હેલિકોપ્ટર ખૂબ ખાસ હતું જે સૈન્યના ઉપયોગ માટે ખૂબ ઉન્નત ગણાય છે. તેનો ઉપયોગ ટ્રૂપ અને આર્મ્સ ટ્રાન્સપોર્ટ, ફાયર સપોર્ટ, એસ્કોર્ટ, પેટ્રોલિંગ અને સર્ચ એન્ડ રેસ્ક્યુ (SAR) મિશન માટે પણ કરવામાં આવે છે. ભારતમાં અનેક વીવીઆઈપી તેનો ઉપયોગ કરે છે. આ દુર્ઘટના બાદ તેના કારણો જાણવા માટે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.