‘જો કોઈ ભૂલ કરશે તો...’ ઇન્ડિગોએ સંકટ ઊભું કર્યા બાદ કેન્દ્ર સરકારની તમામ એરલાઇન્સને ચેતવણી

IndiGo Airlines Crisis : છેલ્લા સાત દિવસથી ઇન્ડિગો એરલાઇન્સની ઘણી ફ્લાઇટો રદ થવાના કારણે અનેક મુસાફરો પરેશાન થતા તેમજ એરલાઇન્સે નવા નિયમોનો યોગ્ય રીતે અમલ ન કરતાં કેન્દ્ર સરકારે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સંસદમાં પણ ઇન્ડિગો એરલાઇન્સનો સંકટનો મુદ્દો ઊભો થયો છે. દેશની તમામ એરલાઇન્સ કંપનીઓ સુચારુ રૂપે કામ કરે તેમજ નિયમોનો યોગ્ય રીતે અમલ કરે તે માટે નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ એરલાઇન્સ કંપનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
ઉડ્ડયન મંત્રીની તમામ એરલાઇન્સોને ચેતવણી
નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ(Ram Mohan Naidu)એ આજે (8 ડિસેમ્બર) સંસદમાં કહ્યું છે કે, ‘ઇન્ડિગો એરલાઇન્સના આંતરિક ડખાના કારણે સેંકડો ફ્લાઇટો રદ થતાં હજારો મુસાફરો પરેશાન થયા છે. આ ઘટના નવા પેસેન્જર સેફ્ટી નોર્મ્સ લાગુ થયા બાદ થઈ છે. અમને પાયલટ, ક્રૂ અને મુસાફરોની ચિંતા છે. અમે તમામ એરલાઇન્સોને નિયમોનો અમલ કરવા સ્પષ્ટ કહ્યું હતું. ઇન્ડિગોએ ક્રૂ અને રોસ્ટરનું યોગ્ય રીતે સંચાલન કરવાની જરૂર હતી, પરંતુ તેણે ન કર્યું. આ જ કારણે મુસાફરો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અમે આ સંકટને હળવાશથી લઈ રહ્યા નથી, અમે કડક કાર્યવાહી કરીશું, જેથી અન્ય એરલાઇન્સોમાં પણ આવી સમસ્યા ઊભી ન થાય. જો કોઈ ભૂલ થશે તો અમે કાર્યવાહી કરીશું. સરકારે ઇન્ડિગો સંકટને લઈને સંપૂર્ણ તપાસ શરુ કરી દીધી છે.’
આ પણ વાંચો : શેર માર્કેટમાં ઇન્ડિગોનું ‘ક્રેશ લેન્ડિંગ’ ! ધડાક લેતા શેર તૂટ્યો
વધુ 500 ફ્લાઇટો રદ
ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટો રદ થવાનો સિલસિલો આજે સાતમા દિવસે પણ યથાવત્ છે. રિપોર્ટ મુજબ, એરલાઇન્સે આજે વધુ 500 ફ્લાઇટો રદ કરી દીધી છે, જેના કારણે આજે પણ મુસાફરો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. સંકટ એવું છે કે, ક્યાંક મુસાફરોની ફ્લાઇટો રદ થઈ રહી છે, તો કેટલીક ફ્લાઇટો વિલંબથી ચાલી રહી છે, જેના કારણે તેઓએ કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. એટલું જ નહીં કંપની દ્વારા યોગ્ય સૂચના પણ આપવામાં આવી રહી નથી. રવિવારે પણ ઇન્ડિગોની 650 ફ્લાઇટ રદ કરવામાં આવી હતી, જ્યારે ઘરેલું અને આંતરરાષ્ટ્રીય સહિત કુલ 2300 ફ્લાઇટમાં 1650 ફ્લાઇટનું યોગ્ય સંચાલન થયું હતું. એરલાઇ૬ન્સે કહ્યું હતું કે, તેના 138માંથી 137 ડેસ્ટિનેશન પર ફ્લાઇટનું સંચાલન શરુ થઈ ગયું છે. ગયા અઠવાડિયે 2000થી વધુ ફ્લાઇટ રદ થઈ ગઈ હતી, જેના કારણે મુસાફરો ભારે પરેશાન થવાની સાથે અનેક ઍરપોર્ટ પર હોબાળો પણ થયો હતો. એરલાઇન્સે ગઈકાલે એવું પણ કહ્યું હતું કે, તેણે પ્રવાસીઓને 610 કરોડ રૂપિયાનું રિફંડ ચૂકવી દીધું છે, જ્યારે લગેજની 3000 બેગ પ્રવાસીઓના સરનામે મોકલી દીધી છે. એટલે કે હવે ઇન્ડિગોના સંચાલનમાં સુધારો થઈ રહ્યો છે.
સમયસર નિમણૂક ન કરવાના કારણે એરલાઇન્સની સ્થિતિ બગડી !
વાસ્તવમાં ઇન્ડિગો એરલાઇન્સે ફ્લાઇટો રદ થવા પાછળ નવા ‘ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન(FDTL)’ના નિયમોનું કારણ આપ્યું હતું. આ નિયમ હેઠળ પાયલટ અને ક્રૂ મેમ્બરના ડ્યુટી અને આરામ સમયમાં ફેરફાર કરાયો છે. રિપોર્ટ મુજબ ઇન્ડિગોએ રોસ્ટર મુજબ પાયલટને ડ્યુટી આપી ન હતી. તેણે નાણાકીય વર્ષ 2025માં માત્ર 418 પાયલટને સામેલ કર્યા હતા. નિષ્ણાતોનું કહેવું છે કે, માત્ર નિયમોના કારણે ફ્લાઇટ રદ થઈ નથી, પરંતુ એરલાઇન્સે સમયસર નિમણૂકો પણ કરી નથી, જેના કારણે એરલાઇન્સની સ્થિતિ ખરાબ થઈ છે. બીજી તરફ ફ્લાઇટોનું સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવી શકાય તે માટે ઇન્ડિગોએ ક્રાઇસીસ મેનેજમેન્ટ ગ્રૂપ બનાવ્યું છે.
આ પણ વાંચો : 12 સરકારી બેંકોનું મર્જર થશે તો કર્મચારીઓની નોકરીનું શું થશે, જાણો નાણામંત્રીનો પ્લાન

