મમતા બેનરજીએ પુલવામા હુમલાના સમય અંગે સવાલ ઊઠાવ્યા
- સંસદનું છેલ્લું સત્ર પુરું થયા પછી પાક.માં હિંમત કેમ આવી
- જવાબદારી લઇ રાજીનામું આપવાને બદલે મોદી રાજકીય ભાષણો કરી યુધ્ધનો માહોલ ઊભો કરે છે
Updated: Feb 18th, 2019
(પીટીઆઇ) કોલકાતા, તા.18 ફેબ્રુઆરી, 2019, સોમવાર
પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજીએ પુલવામા હુમલાના સમય ઉપર સવાલ ઊઠાવતાં પૂછ્યું હતું કે લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે સરકાર યુધ્ધ તરફ જવા માગે છે ?
મમતાએ ભાજપ અને સંઘ ઉપર પુલવામા હુમલા બાદ કોમી તંગદિલી ઊભી કરવાના આક્ષેપ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જ્યારે ચૂંટણી નજીક છે ત્યારે તમે યુધ્ધનું વાતાવરણ ઊભું કરો છો. અમિત શાહ અને નરેન્દ્ર મોદી રાજકીય પ્રવચનો કરી રહ્યા છે. આવા મોટા હુમલાની જવાબદારી લઇ રાજીનામું આપવાને બદલે ભાષણો કરે છે. તેમ તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
તૃણમૂલના વડાએ સવાલ કર્યો હતો કે આતંકી હુમલાની ગુપ્તચર માહિતી હોવા છતાં સીઆરપીએફના આટલા મોટા કાફલાને જવાની કેમ મંજૂરી અપાઇ ? સરકાર બધુ જાણતી હતી તો પછી આટલા જવાનોનો ભોગ કેમ લેવાયો. સંસદનું છેલ્લુ સત્ર પુરું થયા પછી જ પાકિસ્તાનને પ્રોત્સાહન કેમ મળ્યું, તે અંગે શંકા છે. છેલ્લા પાંચ વર્ષમાં પાકિસ્તાન સામે કોઇ પગલા લીધા નથી, તેમ તેમણે ઉમેર્યું હતું.