‘જો વધુ 30 બેઠકો મળી હોત તો દેશમાં કોંગ્રેસની સરકાર હોત...’, OBC સંમેલનમાં ખડગેના PM મોદી પર આકરા પ્રહાર
OBC Sammelan : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે (25 જુલાઈ) ઓબીસી મહાસંમેલનમાં સંબોધન દરમિયાન કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, મોદી સરકાર સામાજિક ન્યાય મુદ્દાઓથી દૂર ભાગી રહી છે અને પછાત વર્ગને પોતાનો અધિકાર આપી રહી નથી. પીએમ મોદી ખોટી બોલવાની આદત ધરાવતા નેતા છે. તેમનો નારો હવે ‘સબકા સાથ, સબકા વિકાસ’ નહીં, પરંતુ ‘સબકા વિનાશ’ બની ગયો છે.
રાહુલ તમામ વર્ગ માટે લડી રહ્યા છે : ખડગે
મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)એ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi)ની પ્રશંસા કરતા કહ્યું કે, ‘રાહુલ ઉચ્ચ જાતિના છે, છતાં તેઓ પછાત, દલિત અને આદિવાસી સમાજ માટે આવાજ ઉઠાવી રહ્યા છે. તમે તેમની સાથે કેમ નથી ઉભા રહેતા? રાહુલ ગાંધી તમામ વર્ગના લોકો માટે લડી રહ્યા છે અને આ જ કોંગ્રેસની વિચારધારા છે.
પીએમ મોદી પર અનામત અટકાવવાનો આક્ષેપ
ખડગેએ કહ્યું કે, ‘વડાપ્રધાન મોદી (PM Narendra Modi) શૈક્ષણિક રીતે પછાત અને વંચિત સમુદાયોને અનામત આપવાથી દૂર ભાગી રહ્યા છે. મોદી પહેલા ઉચ્ચ જાતિમાં હતા, પરંતુ મુખ્યમંત્રી બન્યા બાદ પોતાને પછાત વર્ગમાં સામેલ કરી દીધા. પીએમ મોદી પોતાને પછાત કહે છે, પરંતુ તેમના નિર્ણયો પછાત વર્ગના લોકો વિરુદ્ધના હોય છે.’
આ પણ વાંચો : ભારતીય સેના બની વધુ શક્તિશાળી, ડ્રોનથી લોન્ચ થનારી લક્ષ્યભેદી મિસાઈલનું સફળ પરીક્ષણ
‘30 બેઠકો આવી હોત તો...’
ખડગેએ લોકસભા ચૂંટણી-2024ના પરિણામોનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે દાવો કર્યો કે, ‘જો વધુ 30 બેઠકો મળી હોત તો દેશમાં કોંગ્રેસ (Congress) સરકાર હોત. કોંગ્રેસે લોકસભા ચૂંટણી-2024 સામાજિક ન્યાયના મુદ્દાઓ પર લડી હતી. જો કોંગ્રેસને 30 બેઠકો મળી ગઈ હોત તો અમે સરકાર બનાવી લીધી હોત.’
આ પણ વાંચો : ભાજપના ગઠબંધનવાળી બિહાર સરકાર પાસે 71000 કરોડ ક્યાં વાપર્યાનો હિસાબ જ નથી: CAG રિપોર્ટ