CM એકનાથ શિંદેનો મોટો નિર્ણય, રાજ્યની તમામ સરકારી કચેરીઓ થશે પેપરલેસ
રાજ્યની તમામ સરકારી કચેરીઓને થશે ડિજીટલ
આગામી 1 એપ્રિલ, 2023થી ઇ-ઓફિસ સિસ્ટમ મુકાશે અમલમાં
Updated: Dec 2nd, 2022
મુંબઈ, તા.02 ડિસેમ્બર-2022, શુક્રવાર
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે જાહેરાત કરી હતી કે, સરકાર રાજ્યની તમામ સરકારી કચેરીઓને ડિજીટલ કરવા જઈ રહી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આગામી 1 એપ્રિલ, 2023થી રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં ઇ-ઓફિસ સિસ્ટમ અમલમાં મુકાશે. એટલે કે, તમામ કામગીરી પેપરલેસ થશે. જેથી કામમાં ઝડપ આવી શકે.
શિંદેએ આજે કેન્દ્રીય વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગના સચિવ વી. શ્રીનિવાસને મળ્યા બાદ આ જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ઈ-ઓફિસ પ્રણાલીના અમલથી કામગીરી ઝડપથી પૂર્ણ થશે અને તમામ કામગીરી પેપરલેસ થશે. તેમણે કહ્યું કે, તમામ ઓફિસો ઈ-ઓફિસ મોડ પર આવ્યા બાદ અધિકારીઓ મોબાઈલ પર તમામ ફાઈલો અને દસ્તાવેજો જોઈ શકશે.
મુખ્યમંત્રી કાર્યાલયવતી, અધિકારીઓને સુશાસન માર્ગદર્શિકા તૈયાર કરવા માટે વહીવટીતંત્રને સહકાર આપવા સૂચના આપવામાં આવી છે. સીએમઓ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મહારાષ્ટ્ર, જે હાલમાં ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સમાં બીજા ક્રમે છે, તેણે પ્રથમ ક્રમ હાંસલ કરવાનું લક્ષ્ય રાખવું જોઈએ. કેન્દ્ર સરકાર પણ તમામ સરકારી વિભાગોને પેપરલેસ બનાવવાના પ્રયાસો કરી રહી છે. આ વર્ષે ઓક્ટોબરમાં, સરકારે ભારતીય રેલ્વેને 100 ટકા પેપરલેસ બનાવવા માટે એક વિશેષ અભિયાન શરૂ કર્યું હતું, જેથી કાગળનો બગાડ ઓછો કરી શકાય.