કોંગ્રેસમાં ફરી અંદરોઅંદર ડખા, 5 વર્ષ પહેલા થયેલા વિવાદ અંગે કમલનાથ-દિગ્વિજય સિંહ સામસામે
Madhya Pradesh Congress Controversy : મધ્યપ્રદેશમાં પાંચ વર્ષ પહેલા થયેલા વિવાદ મામલે કોંગ્રેસના બે દિગ્ગજ નેતા કમલનાથ અને દિગ્વિજય સામસામે આવી ગયા છે. વાસ્તવમાં આજથી પાંચ વર્ષ પહેલા રાજ્યમાં કોંગ્રેસની કમલનાથ સરકાર પડી ગઈ હતી, જેનું મુખ્ય કારણ જ્યોતિરાદિત્ય સિંધિયા હતું. તે વખતે સિંધિયા સમર્થકો સાથે કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા રહ્યા હતા, જેના કારણે સરકાર પડી ભાંગી હતી. હાલ રાજ્યમાં મોહન યાદવની સરકાર છે. રાજ્યમાં પાંચ વર્ષ પહેલા સત્તા ગુમાવવા મામલે કમલનાથ-દિગ્વિજય વચ્ચે હાલ જે વાંધા પડ્યા છે, તેનું કારણ પણ સિંધિયા જ છે.
સિંધિયા કમલનાથથી નારાજ હતા, તેથી સરકાર પડી : દિગ્વિજય સિંહ
વાસ્તવમાં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે (Digvijay Singh) એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે, જ્યોતિરાદિત્ય સિંધિયા પૂર્વ મુખ્યમંત્રી કમલનાથથી નારાજ હતા, જેના કારણે તેમને કોંગ્રેસ છોડી દીધું અને સરકાર પડી ગઈ હતી. દિગ્વિજય સિંહના આ શબ્દો સામે આવ્યા બાદ કમલનાથ પણ મેદાનમાં આવી ગયા છે અને તેમણે સોશિયલ મીડિયા એક્સ પર દિગ્વિજયના દાવાને રદીયો આપી દીધો છે. બંને નેતાઓ આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરીને સિંધિયાના ખભા પર બંદૂક રાખી ચલાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.
દિગ્વિજય સિંહે શું કહ્યું ?
એક પોડકાસ્યમાં દિગ્વિજય સિંહે કહ્યું કે, ‘મારા અને સિંધિયા વચ્ચે લડાઈના કારણે સરકાર પડી હોવાનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે, પરંતુ સત્ય એ છે કે, મે અગાઉથી કહ્યું હતું કે, આવી ઘટના બની શકે છે. સિંધિયા કેટલાક કામો કોઈપણ સંજોગોમાં પૂરા કરવા માંગતા હતા અને તેની યાદી પણ બનાવી હતી, જ્યારે મેં પોતે તે યાદી પર હસ્તાક્ષર કર્યા હતા, જોકે તે કામોનો અમલ થયો નહોતો. જો સિંધિયાની વાત માની લીધી હોત તો સરકાર પડી ન હોત, પરંતુ સિંધિની વાત કોણે માનવાની હતી, નિશ્ચિત રીતે તે વખતે કમલનાથ મુખ્યમંત્રી હતી, તેથી કામ પણ તેમને જ કરવાનું હતું.’
કમલનાથે શું કહ્યું ?
કમલનાથે (Kamal Nath) દિગ્વિજયના આ નિવેદનને રદીયો આપ્યો છે. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર કહ્યું છે કે, ‘મધ્યપ્રદેશમાં 2020માં મારા નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકાર પડી ગઈ હોવાના હાલ કેટલાક નિવેદનો ચાલી રહ્યા છે. હું માત્ર એટલું કહેવા માંગું છું કે, જૂની વાતો ઉખેડવાથી કોઈ ફાયદો નથી. સત્ય એ છે કે, વ્યક્તિગત મહત્ત્વકાક્ષાં ઉપરાંત સિંધિયાને લાગતું હતું કે, સરકાર દિગ્વિજય સિંહ ચલાવી રહ્યા છે. આ જ કારણે તેમણે કોંગ્રેસના ધારાસભ્યો તોડીને મારી સરકાર પાડી હતી.
આ પણ વાંચો : PM-CM અને મંત્રીઓની ખુરશી છીનવતાં બિલ મુદ્દે વિપક્ષમાં મતભેદ! ભાજપના બંને હાથમાં લાડુ
સિંધિયા ધારાસભ્યો તોડી ભાજપમાં જતા રહ્યા
ઉલ્લેખનીય છે કે, જ્યોતિરાદિત્ય સિંધિયા તે વખતે ચૂંટણી જીતીને પોતે મુખ્યમંત્રી બનવા માંગતા હતા, જોકે કમલનાથ આગળ કોઈનું પણ ન ચાલ્યું. ત્યારબાદ સિંધિયાની ઈચ્છા હતી કે, છેવટે તેમને મધ્ય પ્રદેશ કોંગ્રેસમાં અધ્યક્ષ બનાવવામાં આવે, પરંતુ મુખ્યમંત્રી પદની સાથે સાથે અધ્યક્ષની ખુરશી પણ કમલનાથના નજરે હતી. ત્યારબાદ રાહુલ ગાંધીએ વિવાદ ખતમ કરાવ્યો હતો અને પછી સિંધિયાને લોકસભા ચૂંટણી-2019ની તૈયારી માટે ઉત્તર પ્રદેશ મોકલી દીધા હતા. તે વખતે સિંધાને પશ્ચિમ યુપીના પ્રભારી બનાવાયા હતા. તે પછી સિંધિયાને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં સ્ક્રીનિંગ કમિટીના ચેરમેન બનાવાયા હતા. જોકે આ દરમિયાન સિંધિયાને લાખ્યું કે પાર્ટીમાં તેમનું કદ ઘટી રહ્યું છે. ત્યારબાદ તેમણે ધારાસભ્ય તોડી ભાજપમાં જવાનો નિર્ણય કર્યો હતો, જેના કારણે રાજ્યમાં કોંગ્રેસની સરકાર પડી ભાગી હતી.