લખનૌ-બરૌની એક્સપ્રેસમાં બોમ્બની હોવાની ધમકી, તપાસ બાદ ખોટી પડી
Updated: Feb 18th, 2019
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌથી ૨૫ કિમી દૂર આવેલા પિપરસંડ રેલ્વે સ્ટેશનના માસ્ટરને એક યુવકે રવિવારે રાત્રે આઠ કલાકે ફોન કરીને ટ્રેનમાં બોમ્બ હોવાની માહિતી આપી હતી.
તે યુવકે પોતે બે શંકાસ્પદ વ્યક્તિને વ્હોટ્સએપમાં શંકા ઉપજે તેવા મેસેજ કરતા અને ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાની વાત કરતા સાંભળ્યા હોવાનું જણાવ્યુ હતું. સ્ટેશન માસ્ટરે તાત્કાલિક ગવર્મેન્ટ રેલ્વે પોલીસ (જીઆરપી), અન્ય અધિકારીઓ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને ગ્વાલિયરથી બરૌની જઈ રહેલી ૧૧૧૨૪ નંબરની ટ્રેનમાં બોમ્બ હોવાની જાણ કરી હતી.
આ ખબર મળતા જ ટ્રેનને રોકી દેવામાં આવી હતી અને ભયનો માહોલ છવાઈ ગયો હતો. ટ્રેનમાં સવાર યાત્રિકો પણ ડરીને દૂર સલામત સ્થળે જઈને ઉભા રહી ગયા હતા.
રેલ્વે અધિકારીઓએ સુરક્ષા કર્મીઓ સાથે મળીને ઝડપથી ટ્રેનની તપાસ શરુ કરી દીધી હતી. જો કે દોઢ કલાકની તપાસ બાદ પણ જીઆરપીને ટ્રેનમાં કોઈ વિસ્ફોટક સામગ્રી હાથ નહોતી લાગી. બે વખત ટ્રેનની સઘન તપાસ કરવા છતા પણ યુવકે વર્ણવ્યા મુજબના કોઈ શંકાસ્પદ ઈસમો ત્યાં નહોતા મળી આવ્યા.
આ ટ્રેનને રોકી રાખવામાં આવતા પાછળ આવી રહેલી ટ્રેનને પણ અસર થઈ હતી. તપાસ બાદ જીઆરપી સુપ્રીન્ટેન્ડન્ટ સૌમિત્રા યાદવે આ ફેક કોલ હોવાનું અને ટ્રેનમાંથી કશું હાથ ન લાગ્યું હોવાની માહિતી આપી હતી.