હું જીવું છું ત્યાં સુધી ત્યાં સુધી તું ચૂંટણી નહીં લડે...: જ્યારે વડાપ્રધાને પોતાના જ પુત્રને ઘરમાંથી કાઢી નાંખવાની આપી હતી ધમકી
Updated: May 7th, 2024
Image Source: Twitter
Former pm chandrashekhar: ભાજપે રાજકારણમાં પરિવારવાદને મોટો ચૂંટણી મુદ્દો બનાવી દીધો છે. પીએમની વાત લાલુ યાદવ અને મુલાયમ સિંહ યાદવના પરિવારના ઉભરતા નક્ષત્રોને નાગવાર લાગે છે. નાગવાર તો કોંગ્રેસને પણ લાગે છે જેને રાજકારણમાં વંશવાદનો પાયો નાખવાનું ગૌરવ પ્રાપ્ત છે. પીએમના આરોપો પર વિપક્ષી પાર્ટીના નેતાઓ પલટવાર પણ કરે છે. આરજેડી નેતા અને બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે તો NDA નેતાઓના પરિવારવાદ અને વંશવાદની એક યાદી જ જારી કરી દીધી હતી. એ યાદીને નકારી તો ન શકાય પરંતુ ભાજપ પર આવા આરોપો ઓછા છે, અપવાદો હોઈ શકે છે. ખાસ કરીને 2022 બાદ તો ભાજપે એક પરિવારના બે લોકોને ચૂંટણી ટિકિટ ન આપવાનો નિયમ જ બનાવી દીધો છે. કેટલાક લોકો રાજનાથ સિંહના પુત્ર પંકજનું ઉદાહરણ આપે છે. તેને અપવાદ માનીને ચાલવું જોઈએ. અપવાદની ગુંજાઈશ તો હંમેશા અને દરેક મામલે બની રહે છે. જો કે પંકજ વિશે ભાજપનો તર્ક છે કે તેમની એન્ટ્રી 2017માં જ થઈ ગઈ હતી. 2022 બાજ ભાજપે ભાગ્યે જ કોઈને આ છૂટ આપી છે.
કોંગ્રેસે 1929માં વંશવાદનો નાખ્યો પાયો
આજે ભાજપ આ નિયમનું ચુસ્તપણે પાલન કરી રહ્યું છે પરંતુ આ પહેલા પણ આવા અનેક ઉદાહરણો મળી જશે જ્યારે કોઈ નેતા ભાગ્યે જ પોતાના સંતાનોને રાજકારણમાં લાવવા માટે તૈયાર હતા. પોતાના જીવનકાળ દરમિયાન કર્પૂરી ઠાકુરે પોતાના પુત્રને રાજકારણથી દૂર રાખ્યા હતા. તેમના નિધનના લાંબા સમય બાદ નીતિશ કુમારે તેમના પુત્રને રાજ્યસભામાં મોકલ્યા હતા. બિહારમાં નીતિશ કુમાર પોતે તેનું મોટું ઉદાહરણ છે. ઓડિશાના સીએમ નવીન પટનાયક પણ અનિચ્છાથી જ રાજકારણમાં આવ્યા હતા. તેમનો પણ રાજકારણમાં ત્યારે પ્રવેશ થયો જ્યારે તેમના પિતા બીજુ પટનાયકનું નિધન થઈ ગયુ. અગાઉના સમાજવાદી નેતાઓ તો ક્યારેય આ તરફ ધ્યાન જ નહોતા આપતા. અગ્રણી સમાજવાદી નેતા રામ મનોહર લોહિયા તો સમાજવાદીઓને લગ્ન જ ન કરવાની સલાહ આપતા હતા. તેમની આ વિચારસરણી પાછળનું કારણ એ જ રહ્યું હશે કે, નેતાઓને વંશવાદના રોગથી બચાવી લેવાશે. રાજનીતિમાં વંશવાદનો પાયો 1929માં નાખવામાં આવ્યો હતો, જ્યારે મોતીલાલ નેહરુએ મહાત્મા ગાંધી પર દબાણ કર્યું અને તેમને તેમના પુત્ર જવાહર લાલ નેહરુને આગળ વધારવાનો આગ્રહ કર્યો હતો. સ્વાતંત્ર્ય સંગ્રામમાં નેહરુ પરિવારનું યોગદાન ઘણું મોટું હોવાથી કદાચ મહાત્મા ગાંધી તેમની સાથે સહમત હતા. મોતીલાલ નેહરુએ અલ્હાબાદનું આનંદ ભવન કોંગ્રેસને આપી દીધુ હતું તેથી મહાત્મા ગાંધી પર નૈતિક દબાણ તો હતું જ.
રાજકારણમાં વંશવાદના કટ્ટર વિરોધી હતા ચંદ્રશેખર
ત્રણ દાયકા પહેલાની વાત છે. 1989ની લોકસભા ચૂંટણીમાં ચંદ્રશેખરે બે બેઠકો પરથી ઉમેદવારી નોંધાવી હતી. એક બેઠક ઉત્તર પ્રદેશની બલિયા અને બીજી બેઠક બિહારની મહારાજગંજ હતી. યોગાનુયોગ ચંદ્રશેખરે બંને બેઠકો જીતી મેળવી હતી. આને સંયોગ ગણવાને બદલે ચંદ્રશેખરના વ્યક્તિત્વનો પ્રભાવ કહેવું વધુ યોગ્ય રહેશે. બલિયા તેમની પરંપરાગત બેઠક હતી પરંતુ મહારાજગંજ તેમના માટે નવી બેઠક હતી. જોકે, બંને બેઠકો જીત્યા બાદ તેમણે એક બેઠક તો છોડવાની જ હતી. તેમણે બલિયા બેઠક પોતાની પાસે રાખી અને મહારાજગંજ બેઠક ખાલી કરી દીધી. તેમના પુત્ર નીરજ શેખરનું મન લલચાયું. તેમણે પોતાના મનની વાત ચંદ્રશેખર સમક્ષ મૂકી. ત્યારબાદ ચંદ્રશેખરે એવો જવાબ આપ્યો કે તેમના જીવિત રહેતા પુત્રએ ચૂંટણી લડવાનું સપનું જોવાનું જ છોડી દીધું.
પુત્રને ચૂંટણી લડવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો
જ્યારે ચંદ્રશેખરે મહારાજગંજ બેઠક છોડી ત્યારે તેમના પુત્ર નીરજ શેખરે તેમને એક પ્રસ્તાવ આપ્યો. તેમણે પોતાની ઈચ્છા વ્યક્ત કરી. તેઓ ચંદ્રશેખરે ખાલી કરેલી મહારાજગંજ બેઠક પરથી ચૂંટણી લડવા માંગતા હતા. આ સાંભળીને ચંદ્રશેખર બરાબરના ભડકી ઉઠ્યા. તેણે આમ કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો. અને તે પણ સામાન્ય અંદાજમાં નહીં, તેમણે ખૂબ જ કડક વલણમાં કહ્યું કે, જો તુ ચૂંટણી લડવા માગે છે તો તારે મારી પણ કેટલીક શરતો માનવી પડશે. તેમના પુત્ર માટે ચૂંટણી લડવા માટે ચંદ્રશેખરની શું શરતો હતી તે જાણીને અત્યાર સુધી તેમને નફરત કરનારાઓનું હૃદય પણ એક વખત ચોક્કસપણે તેમના માટે આદરથી ઝૂકી જશે.
ચંદ્રશેખરે પોતાના પુત્રને સ્પષ્ટ કહ્યું કે તું ચૂંટણી લડ, એ દરેકનો અધિકાર છે. પરંતુ તેના માટે સૌથી પહેલા તારે મારું ઘર છોડવું પડશે. ચંદ્રશેખરની આ પહેલી શરત હતી. તેમની બીજી શરત હતી કે, હું તારા માટે પ્રચાર નહીં કરું. તારે પોતાના દમ પર ચૂંટણી જીતવી પડશે. ચંદ્રશેખરે તેનો અમલ પણ કર્યો. જ્યાં સુધી તેઓ જીવિત હતા ત્યાં સુધી તેમણે પોતાના પુત્રને રાજકારણથી દૂર રાખ્યો હતો. એ અલગ વાત છે કે ચંદ્રશેખરના નિધન બાદ પુત્ર નીરજ શેખરે ચૂંટણી લડી હતી અને જીત પણ મેળવી હતી. આ વખતે ભાજપે વીરેન્દ્ર સિંહ મસ્તના બદલે બલિયાથી ઉમેદવાર તેમને બનાવ્યા છે.