કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમારની ટ્રાન્સફર થઇ
- સીબીઆઇની પૂછપરછના 24 કલાકમાં બદલી થઇ ગઇ
- મમતા બેનરજીના લાડકા અધિકારી રહ્યા છે
Updated: Feb 20th, 2019
કોલકાતા તા.20 ફેબ્રુઆરી 2019 બુધવાર
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ પોતાના લાડકા પોલીસ કમિશનર રાજીવ કુમારને ટ્રાન્સફર કર્યા હોવાની જાણકારી મલી હતી.
શારદા કૌભાંડના દસ્તાવેજી પુરાવા રાજીવ કુમારે દબાવી રાખ્યા હોવાના કહેવાતા આક્ષેપ બદલ સીબીઆઇએ તેમની કરેલી આકરી પૂછપરછ પછી મમતાએ આ પગલું લીધું હતું.
જો કે દેખાવ એવો કરવામાં આવ્યો હતો કે રાજીવ કુમારને પ્રમોશન આપ્યું છે અને ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ ડાયરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા છે. ઉપરાંત એમને ઇન્સપેક્ટર
જનરલ ઑફ પોલીસ બનાવવામાં આવ્યઆ છે.
એમના સ્થાને કોલકાતાના પોલીસ કમિશનર તરીકે અનુજ શર્માને મૂકવામાં આવ્યા હતા. અનુજ શર્મા 1993ના બેચના આઇપીએસ છે.
સીબીઆઇએ રાજીવ કુમાર અને તૃણમૂલ કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ મૃણાલ ઘોષની આકરી પૂછપરછ કરી હતી.
સુપ્રીમ કોર્ટના આદેશને માન આપીને રાજીવ કુમાર સીબીઆઇએ બોલાવેલા શિલોંગના કાર્યાલયમાં ગયા હતા. ત્યાંથી એ પાછાં ફર્યા ત્યારે તેમને ટ્રાન્સફર ઓર્ડર આપવામાં આવ્યો હતો.