દિલ્હી બાદ પોંડિચેરીને પણ પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા કેજરીવાલની માંગ
Updated: Feb 18th, 2019
(પીટીઆઈ ) નવી દિલ્હી, તા.18 ફેબ્રુઆરી, 2019, સોમવાર
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી ઉપરાંત પોંડિચેરીને પણ પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી છે. હાલમાં પોંડિચેરીના મુખ્યમંત્રી વી નારાયણસામી અને ઉપરાજ્યપાલ કિરણ બેદી વચ્ચે ટક્કર ચાલી રહી છે તેવામાં નારાયણસામીને સાથ આપવા કેજરીવાલ ત્યાં પહોંચી ગયા છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે દેશની રાજધાની દિલ્હી ઉપરાંત પોંડિચેરીને પણ પૂર્ણ રાજ્યનો દરજ્જો મળે તેવી માંગ કરી હતી. આ સાથે જ તેમણે દિલ્હી અને પોંડિચેરી, આ બંને કેન્દ્રશાસીત રાજ્યના લોકો સાથે ભેદભાવ ન થવો જોઈઅ તેમ કહ્યુ હતું. પોંડિચેરીમાં મુખ્યમંત્રી વી નારાયણસામી અને ઉપરાજ્યપાલ કિરણ બેદી વચ્ચે ટક્કર જામી છે તેવામાં નારાયણસામીને સાથ આપવા માટે કેજરીવાલ પણ ત્યાં પહોંચી ગયા છે.
કેજરીવાલે બંને કેન્દ્રશાસીત રાજ્યોમાં એક સમાન સ્થિતિ પ્રવર્તી રહી છે તેવો આક્ષેપ કર્યો છે. ગત ૧૩ ફેબુ્રઆરીથી નારાયણસામી તેમના મંત્રી મંડળના સભ્યો તથા કોંગ્રેસ અને ડીએમકેના ધારાસભ્યો સાથે કેંદ્રશાસીત સરકારની વિવિધ પરિયોજનાઓ પરત્વે કિરણ બેદીના નકારાત્મક વલણના વિરોધમાં રાજભવનના બહાર ધરણા પર બેઠેલા છે. કેજરીવાલે જણાવ્યું કે પોંડિચેરીમાં ઉપરાજ્યપાલ ચૂંટાયેલી સરકારના વિકાસ કાર્યોમાં અવરોધ લાવીને સમસ્યા સર્જી રહ્યા છે અને દિલ્હીમાં પણ અમે એવી જ સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ.
તેમણે દિલ્હી અને પોંડિચેરીમાં ઉપરાજ્યપાલની નિયુક્તિ ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે કરી હોવાનું કહ્યું. આમ આદમી પાર્ટી તમિલનાડુમાં લોકસભા ચૂંટણી લડશે કે અન્ય કોઈ પક્ષને સમર્થન જાહેર કરશે તેવા સવાલના જવાબમાં તેમણે આ વિશે પછીથી જાહેરાત કરાશે તેમ જણાવ્યું.