Get The App

‘વિજય ઘટના સ્થળેથી ભાગ્યા, તે તેમની માનસિકતા દર્શાવે છે’ હાઈકોર્ટે TVKની ઝાટકણી કાઢી, SIT તપાસનો આદેશ

Updated: Oct 3rd, 2025

GS TEAM

Google News
Google News
‘વિજય ઘટના સ્થળેથી ભાગ્યા, તે તેમની માનસિકતા દર્શાવે છે’ હાઈકોર્ટે TVKની ઝાટકણી કાઢી, SIT તપાસનો આદેશ 1 - image

Karur Stampede Case : અભિનેતા અને રાજકીય નેતા વિજયની રેલીમાં નાસભાગ થવાના કેસનો મામલો મદ્રાસ હાઈકોર્ટમાં પહોંચ્યા બાદ કોર્ટે મહત્ત્વના નિર્ણય લીધા છે. આ કેસમાં કોર્ટે અભિનેતાની પાર્ટી ટીવીકેની આકરી ઝાટકણી કાઢી છે. કોર્ટે કહ્યું કે, પાર્ટીના પ્રમુખ વિજય ઘટનાસ્થળથી ભાગી ગયા અને પાર્ટીએ દુઃખ પણ વ્યક્ત ન કર્યું, જે વિજની માનસિક સ્થિતિને દર્શાવે છે.

SIT રચવા આદેશ

તમિલનાડુના કરૂર જિલ્લામાં 27 સપ્ટેમ્બરના રોજ અભિનેતા અને રાજકીય નેતા વિજયની રેલીમાં નાસભાગ થઈ હતી, જેમાં 41 લોકોના મોત અને 60થી વધુ લોકોના મોત થયા હતા. હવે આ મામલે મદ્રાસ હાઈકોર્ટમાં આજે (3 ઓક્ટોબર) સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોર્ટે અભિનેતાની તમિલગા વેત્રી કઝગમ (TVK) પાર્ટી અને સરકારની આકરી ઝાટકણી કાઢી છે. આ સાથે કોર્ટે નાસભાગના કારણોની તપાસ કરવા વરિષ્ઠ આઈપીએસ અધિકારી અસરા ગર્ગની આગેવાનીમાં વિશેષ તપાસ દળ (SIT) રચવાનો પણ આદેશ આપ્યો છે. 

‘રાજ્ય વિજય પ્રત્યે નરમ વલણ અપનાવી રહી છે’

ન્યાયાધીશ સેંથિલકુમારે કહ્યું કે, ‘વિજયની રેલીમાં નાસભાગ થતાં 41 લોકોના મોત થયા હતા. રેલીમાં અયોગ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું. તમામે ઘટનાના વીડિયો અને તસવીરો જોઈ, છતાં રાજ્ય વિજય પ્રત્યે નરમ વલણ અપનાવી રહી છે.’ કોર્ટે આયોજકો અને પોલીસ પાસેથી જવાબ માંગ્યો છે કે, જવાબદારી કોની છે? કોર્ટે એમ પણ કહ્યું કે, શું એક કાર્યક્રમના આયોજક હોવાથી તમારી કોઈ જવાબદારી નથી?

‘વિજય ઘટના દરમિયાન સ્થળ પરથી ભાગી ગયા’

કોર્ટે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, રાજ્ય વિજય પ્રત્યે નરમ વલણ અપનાવી રહી છે. અભિનેતા વિજય ઘટના દરમિયાન સ્થળ પરથી ભાગી ગયા હતા. ટીવીકેને પછતાવો પણ વ્યક્ત કર્યો નથી. ટીવીકે નેતા ઘટનાસ્થળથી ભાગી ગયા, તે તેમની માનસિકા દર્શાવે છે.

કોર્ટેમાં ધરપકડ કરાયેલા આનંદ અને નિર્મલની દલીલ

આ ઉપરાંત કોર્ટે ટીવીકે નેતાઓ બુસી આનંદ અને સીટીઆર નિર્મલ કુમારની આગોતરા જામીન અરજી પર આદેશ સુરક્ષિત રાખ્યો છે. આનંદ અને નિર્મલ કુમાર તરફથી હાજર થયેલા વરિષ્ઠ અધિવક્તા વી. રાઘવાચારીએ કોર્ટમાં દલીલ કરી છે કે, ‘અરજદારોનો તેમના પોતાના કાર્યકર્તાઓને નુકસાન પહોંચાડવાનો કોઈ ઈરાદો નહોતો અને આ ઘટનાને બિન-ઈરાદાપૂર્વક હત્યા તરીકે જોઈ શકાય નહીં.’ તેમણે પોલીસ પર પર્યાપ્ત સુરક્ષા ન આપવાનો આરોપ લગાવી કહ્યું કે, ‘કાર્યક્રમનું સ્થળ અરજદારોએ પસંદ કર્યું ન હતું. જો વેલુસામિપુરમ વાંધાજનક હતું, તો પોલીસે અરજદારોની વિનંતીને ફગાવી દેવી જોઈતી હતી.’

‘લાઠીચાર્જ થયા બાદ ભીડ બેકાબૂ થઈ’ આનંદ-નિર્મલના વકીલ

રાઘવાચારીએ દાવો કર્યો કે, ‘લાઠીચાર્જ થયા બાદ ભીડ બેકાબૂ થઈ હતી. લાઠીચાર્જની જરૂર જ કેમ પડી? અરજદારોએ તમામ નિયમોનું પાલન કર્યું હતું અને રોડ શો યોજવાની મંજૂરી કાર્યક્રમથી ફક્ત એક દિવસ પહેલાં જ અપાઈ હતી. ભીડને નિયંત્રિત કરવાની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની હતી. જ્યાં સુધી પોલીસે હસ્તક્ષેપ ન કર્યો ત્યાં સુધી રેલી સંપૂર્ણપણે વ્યવસ્થિત હતી. ભીડ પર રસાયણો ફેંકવામાં આવ્યા, જેના કારણે લોકો બેહોશ થઈ ગયા. સત્તાવાર આયોજક મથિયાઝગનની પહેલેથી જ ધરપકડ કરવામાં આવી છે અને આનંદ તથા નિર્મલ કુમારની કોઈ જવાબદારી બનતી નથી.’

રાજ્ય સરકારની દલીલો

અધિક મુખ્ય સરકારી વકીલ (AAG) જે. રવિંદ્રને આનંદ-નિર્મલના વકીલની દલીલોનો વિરોધ કર્યો છે. તેમણે દલીલ કરી છે કે, ‘પાર્ટીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે કાર્યક્રમ બપોરે 12 વાગ્યે શરૂ થશે, જ્યારે પોલીસે માત્ર બપોરે 3 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીની જ મંજૂરી આપી હતી. ટીવીકેની રેલી માટે 559 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા, જ્યારે થોડા દિવસો પહેલાં તે જ સ્થળે AIADMKના વડા એડપ્પાડી કે. પલાનીસ્વામીના અભિયાન માટે માત્ર 137 પોલીસકર્મીઓ જ તૈનાત કરાયા હતા.’

આ પણ વાંચો : આતંકવાદ રોકો નહીંતર પાકિસ્તાન દુનિયાના નક્શા પર નહીં રહે, આર્મી ચીફ દ્વિવેદીની ચેતવણી

કોર્ટે ગૃહ સચિવ અને પોલીસ મહાનિદેશકને પણ મહત્ત્વનો નિર્દેશ આપ્યો

વાસ્તવમાં કોર્ટે પીઆઈએલ પર પણ સુનાવણી કરી હતી, જેમાં કોર્ટે ગૃહ સચિવ અને પોલીસ મહાનિદેશકને નિર્દેશ આપ્યો છે કે, જ્યાં સુધી વ્યાપક દિશા-નિર્દેશ અથવા માનક સંચાલન પ્રક્રિયા (SOP) તૈયાર ન થાય, ત્યાં સુધી કોઈપણ રોડ-શોને મંજૂરી ન આપવા.

હાઈકોર્ટે ભાજપ નેતાને મદુરૈ બેંચમાં અરજી કરવા કહ્યું

આ ઉપરાંત ભાજપ નેતા ઉમા આનંદને 27 સપ્ટેમ્બરે આરજી દાખલ કરીને સીબીઆઈ તપાસની માંગ કરી હતી, ત્યારે કોર્ટે આ અરજી પણ ફગાવી દીધી છે. ભાજપ નેતાએ અરજી કરીને, ઘટના પાછળ સરકારની ઉદાસીનતા પર અનેક સવાલ ઉઠાવ્યા છે. જોકે કોર્ટે આ અરજી ફગાવી દીધી છે અને અરજદારને મદુરૈ બેંચમાં અરજી કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે, આ મામલો મદુરૈ પીઠની કોર્ટનો છે.

કોર્ટે TVK નેતાની આગોતરા જામીન અરજી ફગાવી

આ ઉપરાંત કોર્ટે પશ્ચિમ તમિલનાડુના નમક્કલના ટીવીકેના જિલ્લા સચિવ સતીષ કુમારની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. 27 સપ્ટેમ્બરે વિજયની રેલી દરમિયાન હોસ્પિટલમાં હુમલા થવા મામલે સતીષ વિરુદ્ધ કેસ નોંધાયો હતો અને ધરપકડના ડરથી તેમણે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.

કોર્ટે પૂછ્યું છે કે, ‘ટીવીકે પ્રમુખ વિજયના રોડ શો દરમિયાન તેમની પાર્ટી ભીડ, કાર્યકર્તાઓનું બેકાબૂ વર્તન, તોડફોડ અને જાહેર સંપત્તિઓને નુકસાન કરતા અટકાવવામાં કેમ નિષ્ફળ ગઈ? સરકારી વકીલ એસ.સંતોષે દલીલ કરી કે, સાર્વજનિક સંપત્તિઓને નુકસાન પહોંચાડવા મામલે સતીષ સહિત ટીવીકે કાર્યકર્તાઓ વિરુદ્ધ 9 એફઆઈઆર નોંધાઈ છે, તેથી તેમણે જામીન આપવા પર વાંધો ઉઠાવ્યો છે.

આ પણ વાંચો : ગુજરાતની મુલાકાતે આવેલા રાજનાથ સિંહની પાકિસ્તાનને ચેતવણી, કહ્યું, ‘સર ક્રિકમાં આંખ ઉઠાવીને જોયું તો...’