કોંગ્રેસમાં કેટલાક લોકો દલિત વિરોધી હોવાથી હું અને ખડગે CM બની શક્યા નહીં: જી પરમેશ્વર
Updated: Feb 25th, 2019
બેંગાલુરુ, તા. 25 ફેબ્રુઆરી 2019 સોમવાર
કર્ણાટકના ઉપ મુખ્યમંત્રી જી પરમેશ્વરે આરોપ લગાવ્યો કે કોંગ્રેસમાં કેટલાક લોકો દલિત નેતાઓની પ્રગતિને રોકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કોંગ્રેસમાં કેટલાક લોકો દલિત વિરોધી છે. હું દલિત સમુદાયનો હોવાથી ત્રણવાર મુખ્યમંત્રી પદ માટે વંચિત રહ્યો.
દાવળગેરેમાં કાર્યક્રમ દરમિયાન દલિત નેતા પરમેશ્વરે કહ્યુ, બસવલિંગપ્પા મુખ્યમંત્રી બની શક્યા નહીં અને કે એચ રંગનાથની સાથે પણ આવુ જ થયુ. અમારા મોટાભાઈ મલ્લિકાર્જુન ખડગે પણ મુખ્યમંત્રી બની શક્યા નહીં. હું પોતે આનાથી ત્રણવાર વંચિત રહ્યો. કેટલી મુશ્કેલી બાદ તેમણે મને ઉપ મુખ્યમંત્રી બનાવ્યો. પરમેશ્વરે આરોપ લગાવ્યો કે કેટલાક લોકો તેમને રાજકીયરીતે દબાવવા ઈચ્છે છે.
કર્ણાટકમાં સરકારની રચના થયા બાદ પણ જી પરમેશ્વરે મંત્રીપદના ભાગને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ ઉપ મુખ્યમંત્રી જી પરમેશ્વર પાસેથી ગૃહ વિભાગનો કાર્યાભાર પાછો લઈને એમ.બી પાટીલને સોંપવામાં આપ્યો હતો.