કર્ણાટકમાં કારનો ભયાનક અકસ્માત, NSUIના નેતા સહિત બેના મોત, એક વિદેશી સહિત ત્રણ ઈજાગ્રસ્ત
Karnataka Accident : કર્ણાટકના નેશનલ હાઈવે-66 પર ભયાનક અકસ્માત થયો છે. મંગળવારે મોડી રાત્રે જેપ્પિનમોગરુ પાસે કાર અકસ્માત થતા એનએસયુઆઈના નેતા સહિત બે લોકોના મોત થયા છે, જ્યારે એક વિદેશ સહિત ત્રણ નાગરિકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનામાં NSUIના નેતા નેતા ઓમ શ્રી અને મેંગલુરુનો રહેવાસી અમલ રાવનું મોત થયું છે.
પૂરઝડપે દોડી રહેલી કાર ડિવાઈડર સાથે અથડાઈ
અકસ્માત થતા જ સ્થાનિક લોકોએ તુરંત પોલીસને ફોન કરતા ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક પોલીસે કહ્યું કે, ‘આસપાસના પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, કાર હાઈવે પર ફુલ સ્પીડમાં દોડી રહી હતી. આ દરમિયાન કારના ચાકે કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે કાર ડિવાઈડર સાથે અથડાઈ ગુલાટી મારી ગઈ હતી. ઈજાગ્રસ્ત થયેલા યુવકો તલપાડીથી મેંગલુરુ તરફ જઈ રહ્યા હતા.’
આ પણ વાંચો : ઉત્તરપ્રદેશમાં ગોઝારો અકસ્માત : રેલિંગ સાથે અથડાતા કાર બની અગનગોળો, 5નાં મોત
બંને મૃતકો કોંગ્રેસ પાર્ટીના હતા
અકસ્માતમાં વશ્મી અને અશિક નામના બે યુવકો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. જેમને તાત્કાલીક સારવાર આપવા માટે શહેરના ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હોસ્પિટલના આઈસીયુમાં સારવાર ચાલી રહી છે. ઘટનામાં એક વિદેશી નાગરિકને પણ ઈજા થઈ છે, જોકે તેને સામાન્ય ઈજા થઈ હોવાથી હોસ્પિટલમાં રજા આપી દેવાઈ છે. બંને મૃતક યુવકો કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા. પોલીસે અકસ્માત અને ગુનો નોંધી પ્રાથમીક તપાસ શરૂ કરી દીધી છે.