કેદારનાથમાં ભયાનક ભૂસ્ખલન, કાટમાળ સાથે 5 શ્રદ્ધાળુ ખીણમાં ખાબક્યા, બેના મોત, 3 ઈજાગ્રસ્ત
IMAGE: FILE PHOTO |
Kedarnath Jangalchatti landslide: ગૌરીકુંડ-કેદારનાથ પગપાળા માર્ગ પર જંગલચટ્ટીમાં ભૂસ્ખલનના કારણે પાંચ શ્રદ્ધાળુઓ ખીણમાં પડી ગયા હોવાના અહેવાલ મળ્યા છે. આ દુર્ઘટનામાં બેના મોત અને ત્રણ ઘાયલ થયા છે. બચાવ કામગીરી ચાલુ છે.
જિલ્લા આપત્તિ નિવારણ અધિકારીએ દુર્ઘટનાની જાણકારી આપતાં કહ્યું કે, ભૂસ્ખલનના કારણે શ્રદ્ધાળુઓ ખીણમાં પડી ગયા હતા. જેમાં બેના મોત થયા છે. ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે. જેના લીધે ભૂસ્ખલનની દુર્ઘટના વધી છે.
હવામાન વિભાગ દ્વારા જાહેર પૂર્વાનુમાન અનુસાર, બાગેશ્વર અને પિથોરાગઢ જિલ્લાના અમુક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે યલો ઍલર્ટ જાહેર કરાયું છે. અન્ય જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદની સંભાવના દર્શાવાઈ છે. 23 જૂન સુધી વરસાદની સ્થિતિ રહેવાનો અંદાજ છે.
રવિવારે પણ થયું હતું ભૂસ્ખલન
કેદારનાથમાં રવિવારે પણ વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટના બની હતી. જેનો સંપૂર્ણ કાટમાળ દૂર કરતાં બે દિવસ થયા હતા. ભૂસ્ખલનના કારણે કેદારનાથ યાત્રા કામચલાઉ ધોરણે સ્થગિત કરવામાં આવી હતી. જેમાં 1નું મોત અને બે ઘાયલ થયા હતા. જો કે, કાટમાળ દૂર કરાયા બાદ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ યાત્રા ફરી શરુ કરવામાં આવી છે.