ઉત્તરપ્રદેશમાં ગોઝારો અકસ્માત : રેલિંગ સાથે અથડાતા કાર બની અગનગોળો, 5નાં મોત
Image Source: Twitter
Car Accident In Bulandshahr: ઉત્તરપ્રદેશમાં મોટો અકસ્માત સર્જાયો છે. આ ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. બદાયૂંથી પરત ફરી રહેલા એક પરિવારની કાર જહાંગીરાબાદ રોડ પર ચાંડોક દૌરાહા નજીક રેલિંગ સાથે અથડાઈને પલટી ગઈ હતી. કાર પલટી ગયા બાદ તેમાં આગ લાગી ગઈ હતી. જેના કારણે કારમાં સવાર એક માસૂમ બાળકી સહિત પાંચ લોકો જીવતા સળગી ગયા છે. જોકે આ ગમખ્વાર અકસ્માતમાં એક છોકરી બચી ગઈ છે. પોલીસે ઘાયલ છોકરીને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરી છે. બીજી તરફ મૃતદેહોને શબઘરમાં મોકલી દેવામાં આવ્યા છે.
બદાયૂંના સહસવાન પોલીસ સ્ટેશન વિસ્તારના ચમનપુરા ગામના રહેવાસી તનવીર અહેમદનો પુત્ર 24 વર્ષીય તનવીઝ અહેમદ દિલ્હી સ્થિત એક ખાનગી કંપનીમાં એન્જિનિયર હતો, જે 15 જૂને એક પારિવારિક લગ્નમાં હાજરી આપવા માટે બદાયૂંના સહસવાનમાં આવ્યો હતો. બુધવારે વહેલી સવારે તનવીઝ પોતાની પત્ની 22 વર્ષીય નિદા ઉર્ફે નિગત, 16 વર્ષીય બહેન ગુલનાઝ, બનેવી 25 વર્ષીય ઝુબૈર અલી, ઝુબૈર અલીની પત્ની સલહેજ મોમિના અને ઝુબૈરના બે વર્ષનો માસૂમ પુત્ર ઝૈનુલને લઈને સ્વિફ્ટ કારમાં દિલ્હી જઈ રહ્યો હતો.
રેલિંગ સાથે અથડાતા કાર બની અગનગોળો
કાર જહાંગીરાબાદ રોડ પર ચાંડોક દૌરાહા પહોંચી કે તરત જ તે એક રેલિંગ સાથે અથડાઈ અને રસ્તાની બાજુમાં ખાડામાં પલટી ગઈ અને કારમાં આગ લાગી ગઈ. આ આગમાં તનવીઝ, નિદા ઉર્ફે નિગત, ઝુબૈર અલી, મોમિના અને માસૂમ ઝૈનુલનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. બીજી તરફ ગુલનાઝ ખરાબ રીતે દાઝી ગઈ. ગુલનાઝને ત્યાંથી પસાર થતા લોકોએ બચાવી લીધી અને કારનો કાચ તોડીને તેને બહાર કાઢી અને આ ઘટના અંગે પોલીસને જાણ કરી.
પોલીસે ઘાયલને હોસ્પિટલ પહોંચાડી
પોલીસે ઘાયલને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા. મૃતદેહોને શબઘરમાં મોકલી દેવામાં આવ્યા અને તેમના પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવી. ઘટના બાદ પરિવારના સભ્યોમાં હાહાકાર મચી ગયો છે. અકસ્માતના સમાચાર મળ્યા બાદ ગામના મૃતકોના સંબંધીઓ સહિત ઘણા લોકો બુલંદશહેર જવા રવાના થઈ ગયા છે.
આ પણ વાંચો: ઈરાનમાં ઘૂસ્યાં ઈઝરાયલના 50 લડાકૂ વિમાન, હથિયાર-મિસાઈલ બનાવતી સાઈટ કરી નષ્ટ
મૃતક એક જ પરિવારના
અધિક પોલીસ અધિક્ષક ગ્રામીણ ડૉ. તેજવીર સિંહનું કહેવું છે કે, આગમાં સળગીને મૃત્યુ પામેલા લોકો અને ઘાયલ એક જ પરિવારના છે, તેમના સંબંધીઓ બુલંદશહેર હોસ્પિટલ પહોંચી ગયા છે. કારમાં CNG લગાવેલું હતું, જેના કારણે આગ લાગી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફરિયાદ મળતાં જ રિપોર્ટ નોંધીને નિયમ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.