શું આ નાણાં તેમના હતા કે તેમના ઘરમાંથી મળ્યા હતા? જજ યશવંત વર્મા કેશકાંડ મામલે પૂર્વ CJI ચંદ્રચૂડના સવાલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Judge Yashwant Varma Cash Case : અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માના દિલ્હી સ્થિત નિવાસસ્થાનેથી મળેલી રોકડના મામલે પૂર્વ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (CJI) ડી.વાય.ચંદ્રચૂડે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, આ કેસમાં FIR ચોક્કસ દાખલ થવી જોઈતી હતી. જોકે, તેમણે એવો સવાલ કર્યો છે કે, ‘શું પૈસા તેમના હતા કે તેમના ઘરમાંથી મળ્યા હતા? જજને સંપૂર્ણ સુનાવણીની તક મળવી જોઈએ.’
યોગ્ય તપાસ થવી જોઈએ : પૂર્વ CJI
પૂર્વ CJI ચંદ્રચૂડે જણાવ્યું કે, ‘જ્યારે ઉચ્ચ બંધારણીય પદ પર રહેલા લોકો વિશે ટિપ્પણી કરવામાં આવે છે, ત્યારે થોડું સંયમ રાખવું જોઈએ.’ તેમનું આ નિવેદન તે સમયના ઉપ-રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓના સંદર્ભમાં હતું. તેમણે ભારપૂર્વક કહ્યું કે કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવું જરૂરી છે અને યોગ્ય તપાસ થવી જોઈએ.
પૂર્વ CJI ચંદ્રચૂડ શું કહ્યું ?
જ્યારે પૂર્વ CJI ચંદ્રચૂડને કેશકાંડ અંગે પ્રશ્ન કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, ‘શું આ નાણાં તેમના હતા, કે પછી તેમના ઘરમાંથી મળ્યા હતા? તેમને સંપૂર્ણ સુનાવણીની તક આપ્યા પહેલા નિર્ણય ન કરવો જોઈએ.’ શું વર્મા વિરુદ્ધ FIR ફાઈલ થવી જોઈતી હતી? તેવું પૂછવામાં આવતા પૂર્વ સીજેઆઈએ કહ્યું કે, ચોક્કસ... તે સમયે જે ઉપરાષ્ટ્રપતિ હતા, તેમણે એક-બે વખત ટિપ્પણી કરી હતી... કામ કરવા દેવું જોઈતું હતું, કારણ કે ઉચ્ચ બંધારણી પદ પર બેઠેલા લોકોની ટિપ્પણીના કારણે આવા મામલામાં સંયમ રાખવો જોઈએ.
જાણો શું છે કેશકાંડ ?
ઉલ્લેખનીય છે કે, માર્ચમાં જસ્ટિસ વર્માના દિલ્હી સ્થિત નિવાસસ્થાને આગ લાગ્યા બાદ અડધી સળગેલી નોટોના બંડલ મળી આવ્યા હતા. જસ્ટિસ વર્માએ આ રોકડ વિશે કોઈ જાણકારી હોવાનો ઈનકાર કર્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત એક સમિતિએ ઘણા સાક્ષીઓના નિવેદનો નોંધ્યા બાદ જસ્ટિસ વર્માને આ માટે જવાબદાર ગણાવ્યા હતા. આ મામલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી હતી, જેમાં વર્મા વિરુદ્ધ FIR નોંધવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ તેને ફગાવી દેવામાં આવી હતી. આના પર પુનર્વિચાર કરવા માટે એક નવી અરજી દાખલ કરવામાં આવી હતી.









