ધનખડની તબિયત એકદમ ઠીક, સપ્ટેમ્બરમાં કંઈક મોટું થવાનું છે: રાજ્યસભા સાંસદનો ચોંકાવનારો દાવો
Deputy President Jagdeep Dhankhar Resignation: જગદીપ ધનખડના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામા બાદ અનેક ચર્ચાઓ વેગવાન બની છે. સોમવારે મોડી સાંજે ધનખડે અચાનક પોતાનું સ્વાસ્થ્યનું કારણ દર્શાવતાં ઉપ રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યું હોવાની જાહેરાત કરી હતી. તેમના રાજીનામાના ટાઈમિંગ પર વિપક્ષ અનેક સવાલો ઉઠાવી રહ્યું છે. શિવસેના (યુબીટી)ના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે કે, ધનખડની તબિયત એકદમ ઠીક છે.
દિલ્હીમાં કંઈક મોટું થવાના સંકેત
સંજય રાઉતે આજે પત્રકારો સાથે વાતચીત કરતાં દિલ્હીમાં કંઈક મોટું થવાના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે, જુઓ આ અંગે હું હાલ વાત કરી શકીશ નહીં, પરંતુ પડદા પાછળ કંઈક રંધાઈ રહ્યું છે. મોટું રાજકારણ રમાઈ રહ્યું છે. દિલ્હીમાં રાષ્ટ્રીય રાજનીતિમાં પડદા પાછળ કંઈક તો ચાલી જ રહ્યું છે, સપ્ટેમ્બરમાં કંઈક મોટો ખુલાસો થશે.
આ પણ વાંચોઃ BIG NEWS: જગદીપ ધનખડનું રાજીનામું મંજૂર, PM મોદીએ પણ આપી પ્રતિક્રિયા
ઉપરાષ્ટ્રપતિનું રાજીનામું સાધારણ ઘટના નહીં
રાજ્યસભાના સભ્યે જણાવ્યું કે, ઉપરાષ્ટ્રપતિજીનું રાજીનામું એ કોઈ સાધારણ ઘટના નથી. તેમણે જે સ્વાસ્થ્યનું કારણ આપ્યું છે. હું તેને સ્વીકારવા તૈયાર નથી. તેઓ એકદમ સ્વસ્થ છે. તેઓ આમ અધવચ્ચે મેદાન છોડનારા વ્યક્તિ નથઈ. હું તેમને ઓળખું છું, તે મેદાન છોડનારા વ્યક્તિ નથી. લડનારા વ્યક્તિ છે. ગઈકાલે આખો દિવસ હું તેમની સાથે જ હતો. કંઈક ચાલી રહ્યું છે. ટૂંકસમયમાં સપ્ટેમ્બરમાં મોટો ખુલાસો થશે.
તેમના રાજીનામાનો ટાઈમિંગ જ અટકળોનું કારણ
ગઈકાલે ચોમાસા સત્ર દરમિયાન પક્ષ અને વિપક્ષ વચ્ચે ઓપરેશન સિંદૂર, પહલગામ આતંકી હુમલા મુદ્દે આક્ષેપબાજી થઈ હતી. જેમાં ઉપરાષ્ટ્રપતિએ આ મુદ્દે તમામ પાસાઓ પર વાત કરવાની ખાતરી આપી હતી. જેના માટે 4.30 વાગ્યે એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં વિપક્ષ અને સત્તા પક્ષના મંત્રીઓ હાજર રહ્યા હતાં. પરંતુ નડ્ડા અને કિરેન રિજિજૂની ગેરહાજરી જોવા મળી હતી. અંતે સાંજે તેમણે રાજીનામાની જાહેરાત કરી હતી. જેથી આ ઘટનાક્રમ બાદ અચાનક રાજીનામું જાહેર થતાં વિપક્ષ અનેક અટકળો લગાવી રહ્યું છે.