India

કોલંબોની હોટલમાં ભારત-પાકિસ્તાનની ગુપ્ત બેઠક? વિદેશ મંત્રાલયે કહ્યું- આવી વાતો પર અમે ધ્યાન પણ નથી આપતા

By GS Team
29 Jun 20262 mins read
TukuTouch Logo
ભારત અને પાકિસ્તાન વચ્ચે શ્રીલંકાના કોલંબોમાં ગુપ્ત બેઠક યોજાઈ હોવાના અહેવાલો અંગે ભારતે સ્પષ્ટતા કરી છે. વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ જણાવ્યું કે આ 'ટ્રેક-II ડાયલોગ' હતો, જેમાં નિવૃત્ત અધિકારીઓ જેવા ખાનગી વ્યક્તિઓ સામેલ હતા. આમાં ભારત સરકારની કોઈ સત્તાવાર ભાગીદારી નથી, અને આવા કાર્યક્રમો પર સરકાર ધ્યાન આપતી નથી. આ ખાનગી કાર્યક્રમોનું કોઈ ખાસ મહત્વ નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

કોલંબોની હોટલમાં ભારત-પાકિસ્તાનની ગુપ્ત બેઠક? વિદેશ મંત્રાલયે કહ્યું- આવી વાતો પર અમે ધ્યાન પણ નથી આપતા
ફોટો સોર્સ: IANS

India Pakistan Secret Meeting In Colombo: છેલ્લા કેટલાક દિવસોથી અસંખ્ય મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે શ્રીલંકાની રાજધાની કોલંબોમાં એક અનૌપચારિક બેઠક યોજાઈ હતી. આ અંગે ભારત સરકારે કહ્યું કે તેમાં કંઈ નવું નથી અને તેમાં કંઈ સત્તાવાર નથી. આ પ્રકારની અનૌપચારિક વાતચીતને 'ટ્રેક-II ડાયલોગ' કહેવામાં આવે છે, જેમાં સરકારથી અલગ જેમ કે નિવૃત્ત અધિકારીઓ, વૈજ્ઞાનિકો અથવા અન્ય લોકો સામેલ થાય છે જેથી કરીને કોઈ પણ રાજકીય દબાણ વગર બંને દેશો વચ્ચેનો તણાવ ઓછો કરવાના રસ્તાઓ શોધી શકાય.

આ ખાનગી અને અસત્તાવાર કાર્યક્રમો છે: વિદેશ સચિવ
કોલંબોમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 'ટ્રેક 2' વાતચીત વિશે પૂછવામાં આવતા વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ કહ્યું-


મેં આવા અહેવાલો જોયા છે અને મને આ અંગે માહિતી છે. વિશ્વભરમાં ઘણી જગ્યાઓ પર અલગ-અલગ વિષયો પર આવા ડઝનબંધ કાર્યક્રમો થતા રહે છે. આ કાર્યક્રમોમાં કંઈ નવું કે ખાસ નથી. જ્યાં સુધી અમારી વાત છે, આ ખાનગી પક્ષો દ્વારા આયોજિત ખાનગી કાર્યક્રમો છે. અમારી નજરમાં આમાં કંઈ પણ સત્તાવાર નથી.

'અમે આ કાર્યક્રમો પર કોઈ ધ્યાન આપતા નથી': ભારતીય વિદેશમંત્રાલય
વિદેશ સચિવે કહ્યું, 'હું પાકિસ્તાન સરકાર વતી તો કંઈ કહી શકું નહીં, પરંતુ ભારત સરકારની વાત કરીએ તો આ પ્રવાસોમાં કોઈ સત્તાવાર ભાગીદારી, સમર્થન કે સામેલગીરી નથી. ભારતમાંથી જે પણ લોકો આ કાર્યક્રમોમાં ભાગ લે છે- ભલે તે નિવૃત્ત રાજદ્વારીઓ હોય, નિવૃત્ત લશ્કરી અધિકારીઓ હોય કે સિવિલ સોસાયટીના સભ્યો હોય, તેઓ પોતાની વાત રાખે છે અને પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કરે છે. તેઓ કોઈપણ રીતે ભારત સરકારના દ્રષ્ટિકોણનું પ્રતિનિધિત્વ કરતા નથી અને ન તો કરી શકે છે. અમે વાસ્તવમાં આ કાર્યક્રમો પર કોઈ ધ્યાન આપતા નથી. અમારી નજરમાં આનું કોઈ ખાસ મહત્વ નથી.'

બેઠકમાં સરહદી મુદ્દાઓ અને આતંકવાદ પર ચર્ચા થઈ?
ખાનગી ચેનલનારિપોર્ટ મુજબ કોલંબોની એક હોટલમાં આશરે બે દિવસ સુધી ચાલેલી આ વાતચીતમાં ભારત તરફથી પૂર્વ સેના પ્રમુખ જનરલ એમ.એમ. નરવણે, ઈન્ડિયા ફાઉન્ડેશનના પ્રમુખ રામ માધવ અને પૂર્વ રાજદ્વારી રુચિ ઘનશ્યામ સામેલ થયા હતા. પાકિસ્તાન તરફથી ત્યાંના વિદેશ મંત્રાલયના અધિકારી સજ્જાદ હૈદર ખાન, પૂર્વ રાજદૂત શેરી રહેમાન અને નિવૃત્ત મેજર જનરલ ઈસફંદિયાર અલી ખાન પટૌડી હાજર હતા. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ બેઠકમાં સરહદ પારના આતંકવાદ, પાણીની વહેંચણી અને ભવિષ્યમાં લશ્કરી મુકાબલો રોકવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.