નારાજ વરુણ ગાંધી ભાજપ છોડવાની તૈયારીમાં? TMC કે કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો
નવી દિલ્હી,તા.20.નવેમ્બર,2021
પોતાની પાર્ટીથી નારાજ ચાલી રહેલા ભાજપના લોકસભા સાંસદ વરુણ ગાંધી હવે મમતા બેનરજીની પાર્ટી ટીએમસીમાં જોડાશે તેવી ચર્ચાઓએ રાજકીય માહોલને ગરમ કર્યો છે.
એવુ કહેવાઈ રહ્યુ છે કે, તેઓ ટીએમસીના નેતાઓના સંપર્કમાં છે.આગામી સપ્તાહે મમતા બેનરજી દિલ્હી આવનાર છે ત્યારે તેમની અને મમતા બેનરજી વચ્ચે આ મુદ્દે વાતચીત આગળ વધી શકે છે.
વરુણ ગાંધી છેલ્લા કેટલાક સમયથી પાર્ટીની નેતાગિરિથી નારાજ છે.તેની પાછળનુ સૌથી મોટુ કારણ એ મનાય છે કે, વરુણ ગાંધીને કેબિનેટમાં જગ્યા મળી નથી.ઉપરાંત ખેડૂતોની તરફેણમાં ગયા મહિને વરુણ ગાંધીએ આપેલા નિવેદન બાદ ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં પણ વરુણ ગાંધી અને મેનકા ગાંધીને સ્થાન અપાયુ નથી.
બીજી તરફ ટીએમસી બંગાળથી આગળ નીકળીને દેશમાં કોંગ્રેસનો વિકલ્પ બનવા માટે હિન્દી ભાષી રાજ્યોમાં પગ જમાવવા માંગે છે.આ સંજોગોમાં યુપી માટે વરુણ ગાંધી ટીએમસીનો ચહેરો બની શકે છે.એક મીડિયા રિપોર્ટમાં ટીએમસીના એક સિનિયર નેતાને ટાંકીને કહેવાયુ છે કે, વરુણ ગાંધી ભાજપ છોડવા માટે વિચાર કરી રહ્યા છે.
બીજી તરફ પ્રિયંકા ગાંધી અને વરુણ ગાંધી વચ્ચે તાજેતરમાં મુલાકાત થઈ હતી .આમ તેઓ કોંગ્રેસમાં પણ જોડાવાનો વિકલ્પ ખુલ્લો રાખી શકે છે તેવી અટકળો પણ થઈ રહી છે.