IndiGo Airlines Crisis : ઈન્ડિગો એરલાઈન્સ છેલ્લા એક અઠવાડિયાથી ફ્લાઈટો કેન્સલ થવાના કારણે મુસાફરોનો રોષ, રિફંડ-લગેજની સમસ્યા, નવા ફ્લાઈટ ડ્યુટી ટાઈમ લિમિટેશન (FDTL) નિયમો, કેન્દ્ર સરકારની આકરી કાર્યવાહી સહિતની સમસ્યાઓનો સામનો કરી રહી છે, ત્યારે કેન્દ્ર સરકારે એરલાઈન્સનો વધુ એક ઝટકો આપ્યો છે. કેન્દ્ર સરકારે એરલાઈન્સને 10 ટકા ફ્લાઈટ ઘટાડવાનો આદેશ આપ્યો છે. જ્યારે ઈન્ડિગો એરલાઈન્સના સીઈઓ નાગરિક ઉડ્ડયન મંત્રાલયની ઓફિસમાં બેઠક કરવા બોલાવવામાં આવ્યા ત્યારે તેઓ નાગરિક ઉડ્ડયન મંત્રી સમક્ષ હાથ જોડતા જોવા મળ્યા છે.
ઈન્ડિગોના CEOને નાગરિક ઉડ્ડયન મંત્રાલયની ઓફિસમાં બોલાવાયા
રિપોર્ટ મુજબ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઈન્ડિગો એરલાઈન્સના સીઈઓ પીટર એલ્બર્સને આજે (9 ડિસેમ્બર) ઓફિસમાં બોલાવાયા હતા. આ બેઠકમાં નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડૂ અને મંત્રાલયના સચિવ સમિર સિન્હા ઉપસ્થિત હતા. આ દરમિયાન ઈન્ડિગોની ઓપરેટિંગ સ્થિતિ, મુસાફરોની દેખરેખ, રિફંડની સ્થિતિ, પાયલોટ અને ક્રૂની સ્થિતિ તેમજ લગેજ પરત આપવાની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. મંત્રાલયે સીઈઓને બોલાવ્યા બાદ ઈન્ડિગોના ઓપરેશનમાં 10 ટકા ઘટાડો કરવાનો આદેશ આપ્યો છે.
ઈન્ડિગોના નેટવર્કમાં સુધારો : એલાઈન્સનો દાવો
ઉડ્ડયન મંત્રી સાથે બેઠક યોજ્યા પહેલા ઈન્ડિગોએ આજે જાહેરાત કરી છે કે, એક અઠવાડિયા સુધી ફ્લાઈટ સમસ્યાનું સંકટ ચાલ્યા બાદ હવે એરલાઈન્સી તમામ ફ્લાઈટો સામાન્ય રીતે સંચાલિત થઈ રહી છે. એરલાઈન્સે બુધવારે 1900 ફ્લાઈટોનું સંચાલન કરવાની યોજના જાહેર કરી છે. કંપનીએ સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, નેટવર્કમાં સતત સુધારો કરાયા બાદ તમામ ફ્લાઈટે શેડ્યૂલ મુજબ ઓપરેટન કરવામાં આવી રહી છે. એરપોર્ટ પર પડેલા તમામ લગેજ લગભગ તમામ મુસાફરો સુધી પહોંચાડી દેવાયા છે. જ્યારે બાકી રહેલા લગેજ ટૂંક સમયમાં મોકલી દેવાશે. હાલમાં 138 સ્ટેશનો પર 1800થી વધુ ફ્લાઈટોનું સંચાલન શરૂ થઈ ગયું છે. આ ઉપરાંત કેન્સલ કરાયેલી ટિકિટનું રિફંડ ચુકવવાની વેબસાઈટ પરની પ્રક્રિયા સરળ અને ઓટોમેટિક કરી દીધી છે.
ઈન્ડિગોને FDTLના નિયમમાં કોઈ રાહત નહીં અપાય : રામ મોહન નાયડૂ
ઈન્ડિગો સંકટના તમામ ઘટનાક્રમ વચ્ચે નાગરિક ઉડ્ડયન મંત્રીએ લોકસભામાં સ્પષ્ટ કહ્યું છે કે, ‘ઈન્ડિગોને નવા એફડીટીએલ નિયમોમાં કોઈપણ રાહત આપવામાં નહીં આવે. નાનાથી લઈને મોટી કોઈપણ એરલાઈન્સ મુસાફરોને આવી રીતે હેરાન ન કરી શકે.’ ઉલ્લેખનીય છે કે, DGCAએ ઈન્ડિગોને કામચલાઉ ધોરણે એફડીટીએલ નિયમોમાં રાહત આપી હતી, જોકે આ મામલે ટીકા થઈ હતી. ત્યારબાદ મંત્રીએ રાહત ન આપવાનો નિર્ણય કર્યો છે.


