ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોમાં ક્રૂની અછત, 200 ફ્લાઇટ્સ રદ; કંપનીએ માફી માંગી

Indigo Airlines Flight Issue : દેશની સૌથી મોટી એરલાઇન્સ ઇન્ડિગોએ ક્રૂની અછત, ટેકનિકલ ખામી સહિત અનેક કારણોસર 200થી વધુ ફ્લાઇટો રદ કરી દીધી છે. રિપોર્ટ મુજબ, બેંગલુરુ-મુંબઈ સહિત ઘણાં ઍરપોર્ટ પર ઇન્ડિગોની ફ્લાઇટો રદ થવા ઉપરાંત મોડી પડી છે. કંપનીએ કહ્યું છે કે, સંચાલક સ્ટાફની અછત હોવાના કારણે આ સમસ્યા સર્જાઈ છે.
ટેકનિકલ ખામીના કારણે ફ્લાઇટો રદ કરવી પડી : ઇન્ડિગો પ્રવક્તા
ઇન્ડિગો એરલાઇન્સના પ્રવક્તાએ કહ્યું કે, ‘ઘણા દિવસોથી ટેકનિકલ ખામીની સમસ્યા, ઍરપોર્ટ પર ભીડભાડ, સંચાલન સંબંધિત જરૂરિયાતોના કારણે અનેક ફ્લાઇટોમાં વિલંબ થયો છે, જ્યારે કેટલીક ફ્લાઇટો રદ કરવી પડી છે. પીટીઆઈએ એક સૂત્રને ટાંકીને કહ્યું છે કે, ‘FDTL માપદંડોના બીજા તબક્કાનો અમલ કરવામાં આવ્યા બાદ ઇન્ડિગો ક્રૂ મેમ્બરની તીવ્ર અછતનો સામનો કરી રહી છે. આ કારણે ફ્લાઇટો રદ અને વિલંબ થઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ‘એરલાઇન્સ મંગળવાથી જ ખરાબ સ્થિતિનો સામનો કરી રહી છે અને હજુ પણ આ સ્થિતિ વધુ ખરાબ થઈ છે.’
એરલાઇન્સે અસુવિધા બદલ માફી માંગી
એરલાઇન્સે મુસાફરોને પડેલી અસુવિધા બદલ માફી માંગી છે. એરલાઇન્સે કહ્યું છે કે, ‘અમે આગામી 48 કલાકમાં સંચાલનને સમયસર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અન્ય એક નિવેદનમાં તેમણે સ્વીકાર્યું છે કે, છેલ્લા બે દિવસમાં આખા નેટવર્કમાં સંચાલન કામગીરીને અસર થઈ છે, જેની અમે મુસાફરોની માફી માંગી રહ્યા છીએ.’ ’ રિપોર્ટ મુજબ, એરલાઇન્સ આગામી 48 કલાકમાં કેટલીક ફ્લાઇટો રદ કરશે અથવા તો તેના સમયમાં ફેરફાર કરી શકે છે.
આ પણ વાંચો : વધુ એક રાજ્યમાં મહારાષ્ટ્ર જેવો 'ખેલ' કરશે ભાજપ! કોંગ્રેસનું ગઠબંધન તૂટે તેવી અટકળો તેજ
નવા નિયમના કારણે પણ ફ્લાઇટને અસર
એરલાઇન્સે કહ્યું કે, ‘નાની-મોટી ટેકનિકલ ખામી, શિયાળાના મોસમના કારણે શેડ્યુલમાં ફેરફાર, ખરાબ હવામાન, ફ્લાઇટ સંચાલનમાં સમસ્યા અને નવા ક્રૂ રોસ્ટરિંગ નિયમો(ફ્લાઇટ ડ્યુટી સમય મર્યાદા)ના નવા નિયમના કારણે સંચાલન કરવામાં અનેક પડકારો આવ્યા છે. ઇન્ડિગો એરલાઇન્સ દૈનિક 2300 ફ્લાઇટોનું સંચાલન કરે છે.
FDTLનો બીજો તબક્કો પહેલી નવેમ્બરથી લાગુ
ઉલ્લેખનીય છે કે, ‘નવા એફડીટીએલ નિયમનો પહેલો તબક્કો જુલાઈથી લાગુ થયો છે, જ્યારે બીજો તબક્કો પહેલી નવેમ્બરથી લાગુ થયો છે, જેમાં રાત્રે છ ફ્લાઇટનું લેન્ડિંગ કરાતું હતું, જે બે કરી દેવાઈ છે. વાસ્તવમાં આ નિયમો માર્ચ-2024 થવાના હતા, જોકે ઇન્ડિગો સહિતની એરલાઇન્સોએ વધારાના ક્રૂ મેમ્બરની જરૂરિયાત હોવાનું કહી તબક્કાવાર નિયમનો અમલ કરવાની માંગ કરી હતી.

