દેશમાં પહેલીવાર કોઈ રાજ્ય પોતાનો સેટેલાઇટ લોન્ચ કરશે, સરહદી સુરક્ષા અને વિકાસમાં મદદરૂપ થશે
India's First Satellite State: આસામ દેશનું પહેલું એવું રાજ્ય બનશે કે, જેની પાસે પોતાનો સેટેલાઇટ હશે. નાણામંત્રી અજન્તા નિયોગે વર્ષ 2025 26માં રાજ્યનું બજેટ રજૂ કરતી વખતે આ વાત કરી હતી. અને તેના માટે આસામ સરકારે ઇસરો સાથે વાતચીત પણ કરી છે. જે અંગે મુખ્યમંત્રી હિમંતા બિસ્વાએ કહ્યું કે, 'જો અમારી પાસે પોતાનો ઉપગ્રહ હશે તો તે અમને માહિતી આપશે કે, કોઈ બહારની વ્યક્તિ ખોટી રીતે રાજ્યમાં પ્રવેશ કરી રહી છે કે નહીં. પૂર જેવી આફતોની વિશે પણ આગોતરી માહિતી આપશે અને ખેડૂતો માટે હવામાન સંબંધિત રિપોર્ટ પણ આપશે. તેમજ આસામ દેશનું પહેલું રાજ્ય હશે, જેની પાસે પોતાનો ઉપગ્રહ હશે.'
આસામ સરકારે સોમવારે એક મોટી જાહેરાત કરી છે. રાજ્યને પોતાનો સેટેલાઈટ મળશે જે સામાજિક અને આર્થિક વિકાસ પ્રોજેક્ટ્સને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે મહત્ત્વપૂર્ણ ડેટા એકત્રિત કરવામાં અને સરહદોનું નિરીક્ષણ કરવામાં પણ મદદ કરશે.
કેવી રીતે કામ કરશે ASSAMSAT
સેટેલાઈટની કામગીરી વિશે માહિતી આપતાં નાણામંત્રી અજન્તા નિયોગે કહ્યું કે, 'આ ઉપગ્રહ ભારતીય અવકાશ વિભાગના IN SPACE (ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઑથોરાઇઝેશન સેન્ટર) સાથે સહયોગથી વિકસિત કરવામાં આવશે. અમે અમારો પોતાનો ઉપગ્રહ 'ASSAMSAT' સ્થાપિત કરવા માંગીએ છીએ, કે જેથી કરીને સામાજિક આર્થિક વિકાસ પ્રોજેક્ટ્સના અસરકારક અમલીકરણ માટે સતત અને વિશ્વસનીય ડેટા મેળવી શકાય.'
આ પણ વાંચો : ટ્રેન હાઇજેક માટે ભારત જવાબદાર, પાકિસ્તાનના PM શાહબાઝના સલાહકારનો પાયાવિહોણો દાવો
સેટેલાઇટથી કયા વિસ્તારોને ફાયદો થશે?
આ સેટેલાઇટથી કૃષિ, આપત્તિ વ્યવસ્થાપન, બુનિયાદી વિકાસ, સરહદ સુરક્ષા વ્યવસ્થાપન અને પોલીસ કામગીરીમાં ઉપયોગી સાબિત થશે. આ ઉપરાંત તે રાજ્યના વિદ્યાર્થીઓની વૈજ્ઞાનિક કલ્પનાશક્તિને વેગ આપવામાં કામ કરશે. કારણ કે તે IN SPACE અને ISROની મદદથી પ્રાયોગિક ઉપગ્રહો બનાવવાની પ્રક્રિયામાં સામેલ કરવામાં આવશે.
મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, 'જો આપણી પાસે પોતાનો સેટેલાઈટ હશે, તો તે અમને માહિતી આપશે કે કોઈ બહારની વ્યક્તિ રાજ્યમાં ગેરકાયદે રીતે પ્રવેશ કરી રહી છે કે નહીં, આ ઉપરાંત તે પૂર જેવી આફતો વિશે અગાઉથી માહિતી આપશે અને ખેડૂતો માટે હવામાન અંગે પણ રિપોર્ટ આપશે.'