India to Nepal flight: દિલ્હીથી નેપાળની રાજધાની કાઠમંડુ જઈ રહેલા સ્પાઈસજેટના એક વિમાનમાં આગ લાગવાની જાણ થયા બાદ તેને પરત ફરવું પડ્યું. દિલ્હી એરપોર્ટ પર ટેક્સી કરતી વખતે વિમાનના ટેઈલપાઈપમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું, જેની માહિતી એક અન્ય વિમાનના પાયલટે આપી હતી.
આ પણ વાંચો: 'હાઈડ્રોજન બોમ્બ આવશે, બધુ સ્પષ્ટ થઈ જશે', વોટ ચોરી મામલે રાહુલ ગાંધીનો ફરી ગંભીર આરોપ
મીડિયા રિપોર્ટ પ્રમાણે એરલાઈન દ્વારા આ અંગે એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે, 11 સપ્ટેમ્બર, 2025 ના રોજ, દિલ્હીથી કાઠમંડુ જઈ રહેલા સ્પાઈસજેટના વિમાનમાં શંકાસ્પદ ટેઈલપાઈપમાં આગ લાગવાની જાણ થતાં પરત ફર્યું હતું. કોકપીટમાં કોઈ ચેતવણી કે સંકેત જોવા મળ્યો ન હતો, પરંતુ પાઇલોટ્સે સલામતી ભાગરુપે પરત ફરવાનો નિર્ણય લીધો હતો.
મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો
પહેલા આવેલા સમાચારમાં એવા હતા કે, કાઠમંડુ જતી સ્પાઈસજેટની ફ્લાઇટમાં 100 થી વધુ મુસાફરોને બોર્ડિંગ પછી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. જેના કારણે મુસાફરોને મુશ્કેલી પડી હતી. તેમને કહેવામાં આવ્યું હતું કે વિમાનમાં ટેકનિકલ ખામી છે.
મીડિયા રિપોર્ટ મુજબ, સ્પાઈસજેટની ફ્લાઇટ SG41 સવારે 8:10 વાગ્યે ઉપડવાની હતી, પરંતુ ફ્લાઇટ મોડી પડી હતી અને સવારે 9:30 વાગ્યા સુધી રોકાઈ હતી. એવું કહેવામાં આવ્યું હતું કે વિમાન લાંબા સમય સુધી રનવે પર ઊભું રહ્યું હતું અને મુસાફરોને આ અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી. આ સમય દરમિયાન વિમાનમાં બેઠેલા મુસાફરો ભીષણ ગરમીથી પરેશાન થયા હતા, જેનો એક વીડિયો પણ સામે આવ્યો હતો.


