ડોભાલ બાદ હવે જયશંકર જશે મોસ્કો, કોણ છે સર્ગેઈ શોઈગુ? જેમની ભારત-રશિયા સંબંધોમાં મહત્ત્વની ભૂમિકા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India-Russia Relations : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને રશિયા સાથે વાંધો પડ્યો હોવાથી તેની સાથે ક્રૂડ ઓઈલ ખરીદનાર ભારત પર ટેરિફ બોંબ ઝિંકી વેપાર બંધ કરવા દબાણ કરી રહ્યા છે. આ ઘટનાક્રમ વચ્ચે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ રશિયાની યાત્રા પર પહોંચી ગયા છે. ડોભાલની રશિયા મુલાકાતા બાદ રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારત યાત્રાની યોજના ઘડવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પુતિન આ વર્ષના અંતે ભારતની મુલાકાત લે તેવી સંભાવના છે. બીજીતરફ ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર ઓગસ્ટમાં રશિયાની યાત્રા પર જવાના છે.
મોસ્કોમાં ડોભાલ-શોઈગુ વચ્ચે બેઠક
અજિત ડોભાલ અને રશિયન ફેડરેશનની સુરક્ષા પરિષદના સચિવ સર્ગેઈ શોઈગુ ભારત-રશિયાના સંબંધોમાં મહત્ત્વની ભૂમિકા નિભાવતા રહ્યા છે, ત્યારે ડોભાલ અને શોઈગુ વચ્ચે મોસ્કોમાં બેઠક યોજાઈ છે. આ દરમિયાન બંને દેશો વચ્ચે રાજદ્વારી ભાગીદારીને વધુ મજબૂત કરવાની ચર્ચા કરી છે. આ ઉપરાંત આ વર્ષે યોજાનાર દ્વિપક્ષીય શિખર સંમેલનમાં સંયુક્ત પ્રયાસોની જરૂરીયાત પર ભાર મૂક્યો છે.
આ પણ વાંચો : ટ્રમ્પના નિર્ણયથી ગુસ્સે થયા આ બે દેશ, અમેરિકન ફાઈટર જેટ ખરીદવાની ડીલ છોડવાની તૈયારીમાં
રાજદ્વારી ભાગીદારીને વધુ મજબૂત કરવા બંને દેશો વચ્ચે ચર્ચા
ભારત સ્થિત રશિયન દૂતાવાસે ટેલીગ્રામ પર એક પોસ્ટમાં લખ્યું છે કે, ‘રશિયાના સુરક્ષા પરિષદના સચિવ સર્ગેઈ શોઈગુએ સાત ઓગસ્ટે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત કુમાર ડોભાલ સાથે વાતચીત કરી છે. બંને દેશોએ રાજદ્વારી ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે ચર્ચા કરી છે. તેઓએ દ્વિપક્ષીય શિખર સંમેલનની તૈયારીમાં સંયુક્ત પ્રયાસોની પણ ચર્ચા કરી છે.
આ પહેલા ડોભાલે ગુરુવારે (7 ઓગસ્ટ, 2025) મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત ભારત અને રશિયા વચ્ચે ઊર્જા અને સંરક્ષણ સહયોગને મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી યોજાઈ હતી. ડોભાલ બુધવારે મોસ્કો પહોંચ્યા હતા અને તેમણે પહેલાથી જ સંકેત આપ્યો હતો કે પુતિન વર્ષના અંતમાં ભારતના પ્રવાસે આવી શકે છે.
સર્ગેઈ શોઈગુ કોણ છે?
સર્ગેઈ શોઈગુ એક રશિયન રાજકારણી અને લશ્કરી અધિકારી છે. તેઓ રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નજીકના સહયોગીઓમાંના એક છે અને લાંબા સમયથી ઉચ્ચ સરકારી પદો પર સેવા આપી રહ્યા છે. સર્ગેઈ શોઈગુ હાલમાં રશિયન ફેડરેશનના સુરક્ષા પરિષદના સચિવ તરીકે સેવા આપી રહ્યા છે. મે 2024માં તેમની આ પદ પર નિમણૂક કરવામાં આવી હતી. આ પહેલા, તેઓ 2012 થી 2024 સુધી એટલે કે લગભગ 12 વર્ષ સુધી રશિયાના સંરક્ષણ મંત્રી તરીકે સેવા આપી હતી. તેમનો કાર્યકાળ રશિયા-યુક્રેન યુદ્ધ જેવી મોટી લશ્કરી ઘટનાઓ સાથે સંકળાયેલો છે. સંરક્ષણ મંત્રી બનતા પહેલા, તેમણે 1991 થી 2012 સુધી નાગરિક સંરક્ષણ, કટોકટી અને કુદરતી આફતોના મંત્રી તરીકે પણ કાર્ય કર્યું હતું, જે દરમિયાન તેઓ તેમની કાર્યક્ષમતા માટે જાણીતા બન્યા હતા.
આ પણ વાંચો : પગાર દાન કરનારો હું અમેરિકાનો પહેલો પ્રમુખ છું... જાણો ટ્રમ્પનો વધુ એક દાવો અને હકીકત








