નેપાળી PMને ભારતનો જડબાતોડ જવાબ: "98% સરહદ નક્કી, ત્રીજા દેશની કોઈ જરૂર નથી"
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nepal-India Border Issue: ભારત અને નેપાળ વચ્ચેના સરહદ વિવાદને લઈને નેપાળના વડાપ્રધાન બાલેન શાહ દ્વારા આપવામાં આવેલા નિવેદન પર ભારત સરકારના વિદેશ મંત્રાલય (MEA)ની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ભારત-નેપાળ સરહદનો આશરે 98% હિસ્સો પહેલેથી જ નક્કી થઈ ચૂક્યો છે. આ સાથે જ ભારતે ખરી સંભળાવી છે કે આ બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે અને તેમાં કોઈપણ ત્રીજા દેશની દખલગીરી સ્વીકારવામાં નહીં આવે.
નેપાળના વડાપ્રધાને શું દાવો કર્યો હતો?
તાજેતરમાં નેપાળના વડાપ્રધાન બાલેન શાહ સંસદના સત્રમાં પહેલીવાર સામેલ થયા હતા. આ દરમિયાન ભારત સાથેના સરહદ વિવાદ અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, "તમને એક તથ્ય જાણીને આશ્ચર્ય થશે, જે મને વડાપ્રધાન બન્યા પછી જ ખબર પડી છે. ભારતે માત્ર નેપાળી ક્ષેત્રો પર જ અતિક્રમણ નથી કર્યું, પરંતુ નેપાળે પણ અનેક સ્થળોએ ભારતના વિસ્તારો પર કબજો કર્યો છે. હવે બંને દેશોએ તથ્યોનો અભ્યાસ કરવો જોઈએ અને મિત્રતાપૂર્વક સાથે બેસીને આ મુદ્દાનો ઉકેલ લાવવો જોઈએ."
બાલેન શાહે વધુમાં દાવો કર્યો હતો કે નેપાળ સરકારે સરહદના ઉકેલ માટે ઇતિહાસકારો અને નિષ્ણાતોની મદદ લેવા ઉપરાંત આ મુદ્દો ચીન અને બ્રિટન સમક્ષ પણ ઉઠાવ્યો છે.
ભારત સરકારના વિદેશ મંત્રાલયનો સચોટ જવાબ
નેપાળી પીએમના આ નિવેદન બાદ ભારતીય વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદન જારી કરીને સ્થિતિ સ્પષ્ટ કરી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, "અમે ભારત-નેપાળ સરહદ અંગે નેપાળના વડાપ્રધાનની ટિપ્પણીઓ અને નેપાળી વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદનને જોયું છે. વાસ્તવિકતા એ છે કે ભારત-નેપાળ સરહદનો લગભગ 98% હિસ્સો પહેલેથી જ નક્કી થઈ ચૂક્યો છે. જોકે, ગંડક નદીના પ્રવાહમાં આવેલા બદલાવને કારણે કેટલાક નાના હિસ્સાઓનો ઉકેલ લાવવાનો હજુ બાકી છે."
વિદેશ મંત્રાલયે વધુમાં ઉમેર્યું કે, "સરહદના નિર્ધારિત હિસ્સાઓમાં સરહદ પાર ગેરકાયદેસર કબજા અને 'નો-મેન્સ લેન્ડ' પર અતિક્રમણના પણ કેટલાક કિસ્સા છે, જેનું બંને દેશો સંયુક્ત રીતે મેપિંગ કરી રહ્યા છે. આ તમામ બાબતો માટે બંને દેશો વચ્ચે મજબૂત દ્વિપક્ષીય તંત્ર કાર્યરત છે. તેથી તમામ પક્ષોને એ સ્પષ્ટ હોવું જોઈએ કે ભારત અને નેપાળ વચ્ચેના આ દ્વિપક્ષીય મામલામાં કોઈ ત્રીજા પક્ષની કોઈ જ ભૂમિકા નથી."









