ભારતની મોટી તૈયારી ! એક લાખ કરોડના ખર્ચે અત્યાધુનિક 9 સબમરીન ખરીદવા કરશે બે મોટી ડીલ
India-France-Germany Scorpene Submarine Deal : ભારતે સમુદ્રની મહાશક્તિ બનવા માટે મોટો નિર્ણય લીધો છે. સરકાર આગામી વર્ષના મધ્ય સુધીમાં 9 સબમરીન ખરીદવાની એક લાખ કરોડ રૂપિયાથી વધુની બે ડીલને અંતિમ સ્વરૂપ આપે, તેવી શક્યતા છે, તેમ સૂત્રોએ જણાવ્યું છે. આ ડીલ ભારતીય નૌકાદળની શક્તિમાં ઉત્તરોત્તર વધારો કરશે અને ચીન-પાકિસ્તાન જેવા દેશોની વધતી દરિયાઈ ગતિવિધિઓનો સામનો કરવામાં મદદ કરશે.
ત્રણ સબમરીન ખરીદવા માટે ફ્રાન્સ સાથે ડીલ
પહેલો સોદો ફ્રાન્સ સાથે છે, જેમાં ત્રણ સ્કોર્પીન સબમરીનની ખરીદીની વાતચીત ચાલી રહી છે. આ સબમરીનનું નિર્માણ સરકારી કંપની મઝગાંવ ડોક લિમિટેડ (MDL) અને ફ્રાન્સ સંરક્ષણ કંપની નેવલ ગ્રુપ દ્વારા સંયુક્ત કરાશે. સંરક્ષણ મંત્રાલયે આશરે 36000 કરોડ રૂપિયાના આ સોદાને બે વર્ષ પહેલાં જ મંજૂરી આપી દીધી હતી, પરંતુ વિવિધ કારણોસર ડીલને અંતિમ સ્વરૂપ આપવામાં વિલંબ થયો હતો.
છ સ્ટીલ્થ સબમરીનની ખરીદવા જર્મની સાથે ડીલ
ભારતની બીજી મોટી યોજના પ્રોજેક્ટ-75 ઈન્ડિયા (P-75I) હેઠળ ની છે, જેમાં છ ડીઝલ-ઈલેક્ટ્રિક સ્ટીલ્થ સબમરીનની ખરીદીની છે. આશરે 65,000 કરોડ રૂપિયાના આ ડીલ માટે જર્મન શિપ બિલ્ડિંગ કંપની થીસેનક્રુપ મરીન સિસ્ટમ્સ (TKMS) અને મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) સાથે ભાગીદારી થઈ છે. આ સબમરીન અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ અને લાંબા સમય સુધી પાણીની અંદર રહીને દુશ્મન પર હુમલો કરવા સક્ષમ હશે. આ પ્રોજેક્ટને 'મેક ઇન ઈન્ડિયા' પહેલ હેઠળની સૌથી મોટી યોજનાઓમાંની એક માનવામાં આવે છે.
આ પણ વાંચો : ટેરિફને લઈને ભારત સરકારનો મોટો નિર્ણય, અમેરિકા માટે તમામ પોસ્ટલ સર્વિસ બંધ
64,000 કરોડના ખર્ચે 26 રાફેલ ખરીદીનો સોદો
હાલ ભારતીય નૌકાદળના કાફલામાં જૂની સબમરીનો છે, જેથી નૌકાદળ બંને સોદાઓ ઝડપથી પૂર્ણ કરવા ઈચ્છે છે. એકવાર આ ડીલોને અંતિમ રૂપ આપવામાં આવે, ત્યારબાદ સબમરીનની ડિલિવરી કરાર પર હસ્તાક્ષર થયાના લગભગ છ વર્ષ બાદ મળવાની અપેક્ષા છે. સંરક્ષણ મંત્રાલયે ફ્રાન્સ પાસેથી વધારાની સ્કોર્પીન સબમરીન અને 26 રાફેલ નેવી જેટ ખરીદવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. જોકે, સ્કોર્પીન સબમરીનનો પ્રોજેક્ટ હજુ પણ અટકેલો છે. બીજી તરફ, ભારત અને ફ્રાન્સે એપ્રિલ મહિનામાં એક કરાર પર સહી કરી હતી. આ કરાર હેઠળ રૂપિયા 64,000 કરોડના ખર્ચે 26 રાફેલ નેવી જેટની ખરીદીનો મોટો સોદો થયો હતો. આ વિમાનો ભારતીય નૌકાદળના વિમાનવાહક જહાજ INS વિક્રાંત પર તૈનાત કરવામાં આવશે.