Get The App

ઈરાનમાં ફસાયેલા ભારતીયોને સડક માર્ગે બહાર કઢાશે, પડોશી માંગી રહ્યા છે ડીઝલ: વિદેશ મંત્રાલય

Updated: Mar 12th, 2026

GS TEAM

Google News
Google News
ઈરાનમાં ફસાયેલા ભારતીયોને સડક માર્ગે બહાર કઢાશે, પડોશી માંગી રહ્યા છે ડીઝલ: વિદેશ મંત્રાલય 1 - image

US-Israel Iran War, India Rescues Citizens Stranded : વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના મામલે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને ઈરાનના વિદેશમંત્રી વચ્ચે તાજેતરમાં જ ત્રણ વખત વાતચીત થઈ છે. બંને વચ્ચે જહાજોની સુરક્ષા અને ભારતની ઊર્જા સુરક્ષા મુદ્દે વાત થઈ હતી.

મધ્ય-પૂર્વમાં ફસાયેલા ભારતીયોની મદદ

જયસ્વાલે કહ્યું કે, ‘ભારત સરકાર મધ્ય-પૂર્વમાં ફસાયેલા ભારતીયોની મદદ કરી રહી છે. સરકાર અજરબૈજાન અને આર્મેનિયા જવા ઇચ્છતા ભારતીય નાગરિકોની પણ મદદ કરી રહી છે. આ નાગરિકો કોમર્શિયલ ફ્લાઇટમાં ઘરે પરત ફરવા ઇચ્છે છે, તેથી અમે તેઓને વિઝા અપાવવામાં મદદ કરી રહ્યા છીએ. અમે તેઓને સરહદ પાર કરવામાં પણ મદદ કરી રહ્યા છે.’ 

ઈરાનમાં લગભગ 9000 ભારતીય નાગરિક

તેમણે કહ્યું કે, ‘ઈરાનમાં લગભગ 9000 ભારતીય નાગરિક હતા અથવા છે. તેમાં વિદ્યાર્થીઓ, નાવિકો, બિઝનેસ કરનારાઓ, પ્રોફેશનલ અને કેટલાક પ્રવાસીઓ સામેલ છે. ત્યાં ફસાયેલા કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ ઘરે પહોંચી ગયા છે. સરકારે તેહરાનમાંથી અનેક ભારતીય નાગરિકોને અન્ય સુરક્ષિત સ્થળે અને શહેરોમાં લઈ જવાઈ રહ્યા છે. હું આ વિકટ પરિસ્થિતિ વચ્ચે તે તમામ ભારતીય નાગરિકોને સલાહ આપું છું કે, જે નાગરિકો સરહદી રસ્તે ઈરાન છોડવા ઇચ્છે છે, તેઓ અમારી એમ્બેસી દ્વારા જાહેર કરાયેલી ગાઇડલાઇનનું પાલન કરે.’

આ પણ વાંચો : ઈરાન સામે અમેરિકા લાચાર, સત્તા પરિવર્તન તો સપનું જ રહ્યું... US ઈન્ટેલિજન્સનો જ દાવો

અનેક દેશોમાં ઓઇલ સંકટ, પડોશી દેશો દ્વારા ભારત પાસે ડીઝલની માંગ

રણધીર જયસ્વાલે અનેક દેશોમાં ક્રૂડ ઓઇલની ચાલી રહેલી કટોકટી અંગે પણ મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘હાલ અનેક દેશો ઓઇલ સંકટનો સામનો કરી રહ્યા છે, જેના કારણે પડોશી દેશો ભારત પાસે ડીઝલ માંગી રહ્યા છે.’ ઈરાન માત્ર ઈઝરાયલ પર જ નહીં પડોશી દેશો પર પણ હુમલાઓ કરી રહ્યું છે. ઈરાને પોતાનો હોર્મુઝ જળમાર્ગ બંધ કરીને વિશ્વભરને મોટો ઝટકો આપ્યો છે. અનેક દેશો માટે અતિ મહત્ત્વના આ જળમાર્ગ પર હુમલા થઈ રહ્યા હોવાના કારણે જહાજોનું નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. ઈરાન શરૂઆતથી જ કતાર અને સંયુક્ત આરબ અમીરાત સહિતના ઓઇલ પ્લાન્ટો પર સતત હુમલાઓ કરી રહ્યું છે, જેના કારણે ક્રૂડ ઓઇલનો સપ્લાય અટકી પડ્યો છે. હોર્મુઝ જળમાર્ગેથી પણ પસાર થતો ઓઇલ સપ્લાય અને ગેસ સપ્લાય મોટાભાગે બંધ થઈ રહ્યો છે, જેના કારણે ભારત સહિત અનેક દેશોમાં ગેસ અને પેટ્રોલ કટોકટી જોવા મળી રહી છે. 

યુદ્ધનો આજે 13મો દિવસ

ઉલ્લેખનીય છે કે, અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં મધ્ય પૂર્વના દેશોમાં ભારતીયો સહિત અનેક વિદેશી નાગિરકો ફસાયા છે, ત્યારે ભારત સરકારે ભારતીય નાગરિકો સહિત વિદેશી નાગિરકોની પણ મદદ કરી રહી છે. યુદ્ધનો આજે 13મો દિવસ છે, ત્યારે આ સંઘર્ષમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હોવાની વાત પણ સામે આવી છે. બીજી તરફ ઈરાન માત્ર ઈઝરાયલ સાથે જ નહીં મધ્ય-પૂર્વના દેશો પર પણ હુમલાઓ કરી રહ્યું છે, જેના કારણે મધ્ય-પૂર્વમાં પણ ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની સાથે વેપાર સપ્લાય ચેનને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે.

આ પણ વાંચો : ઈરાને ભારતીય જહાજોને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની મંજૂરી આપી? જાણો હકીકત