પાપા પાછા આવશે તો રમકડુ લાવશે, ચાર વર્ષના બાળકને ખબર જ નથી કે પિતા શહીદ થઈ ગયા છે
Updated: Feb 15th, 2019
નવી દિલ્હી,તા.15.ફેબ્રુઆરી 2019 શુક્રવાર
પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના શહીદ જવાનોમાં બિહારના રહેવાસી રતન ઠાકુરનુ પણ નામ છે.
તેમના ઘરે જ્યારે આ ખબર પહોંચી ત્યારે માતમ છવાઈ ગયો હતો.રતન ઠાકુરના પિતા નિરંજન ઠાકોર રડી રડીને બેહાર થઈ ગયા છે.તેમણે દર્દભર્યા સ્વરે કહ્યુ હતુ કે મારો એક જ પુત્ર હતો જેને મેં બહુ લાડ કોડથી ઉછેર્યો હતો.
નિરંજન ઠાકોરે કહ્યુ હતુ કે તેને ભણાવવા માટે મેં મજૂરી કરી હતી, રસ્તાઓ પર જ્યુસ વેચ્યુ હતુ અને કપડાની લારી પણ કરી હતી.હવે બધુ ખતમ થઈ ગયુ છે.આતંકવાદીઓએ મારા દીકરાને મારી નાંખ્ોય છે.રતન ભણવામાં પણ હોશિંયાર હતો.2011માં સીઆરપીએફમાં ભરતી થયો હતો.તેની નોકરીના કારણે પરિવારની આર્થિક સ્થિતિ પણ સુધરી રહી હતી અને બધુ સારુ થઈ રહ્યુ હતુ.હવે તે શહીદ થઈ ગયો છે ત્યારે અમે કોના સહારે જીવીશું?
રતનની પત્નીએ કહ્યુ હતુ કે ગઈકાલે બપોરે જ દોઢ વાગ્યે તેમનો ફોન આવ્યો હતો અને કહ્યુ હતુ કે અમે શ્રીનગર જઈ રહ્યા છે.રાતે વાત કરીશું પણ હું તેમના ફોનની રાહ જ જોતી રહી.અમને ખબર પડી હતી કે પુલવામામાં આતંકવાદીઓએ હુમલો કર્યો છે.અમે ટીવી જોતા હતા ત્યારે જ ઘરે ફોન આવ્યો હતો અને રતનની શહીદ થવાની જાણકારી અમને મળી હતી.
પિતા નિરંજન ઠાકોરનુ કહેવુ છે કે રતનની પત્ની ગર્ભવતી છે.રતને હોળી પર ઘરે આવવાની વાત કરી હતી.તેના અન્ય એક ચાર વર્ષના પુત્ર કૃષ્ણાને પિતાના શહીદ થવાની ખબર પણ નથી.
ચાર વર્ષનો પુત્ર તો કહી રહ્યો છે કે પાપા ડ્યુટી પર છે અને જ્યારે પાછા આવશે ત્યારે રમકડુ લઈને આવશે.