Get The App

હિમાચલમાં કાટમાળમાં બસ દબાઈ જતાં મોટી દુર્ઘટના, રાષ્ટ્રપતિ-PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, વળતરની જાહેરાત

Updated: Oct 7th, 2025

GS TEAM

Google News
Google News
હિમાચલમાં કાટમાળમાં બસ દબાઈ જતાં મોટી દુર્ઘટના, રાષ્ટ્રપતિ-PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, વળતરની જાહેરાત 1 - image

Himachal Pradesh News : હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લાના ઝંડૂતા તાલુકાના બાલૂઘાટ નજીક બુધવારે એક ખાનગી બસ પર ભૂસ્ખલન (લેન્ડસ્લાઈડ) થતાં અનેક લોકોના કરૂણ મોત થયા છે. મળતી માહિતી અનુસાર, બસ પર અચાનક પહાડનો કાટમાળ પડતા બસમાં સવાર મુસાફરો દબાયા હતા. દુર્ઘટના બાદ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું છે. બસમાં 25થી 30 મુસાફરો સવાર હોવાનો અંદાજ છે. ત્યારે આ ઘટનાને લઈને રાષ્ટ્રપ્રતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. આ સાથે વડાપ્રધાન કાર્યાલય દ્વારા મૃતકોના પરિજનો અને ઈજાગ્રસ્તો માટે આર્થિક સહાયની પણ જાહેરાત કરી છે.

PM મોદીએ દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલમાં બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા મંગળવારે સાંજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર દુર્ઘટના અંગે પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેમાં પીએમ મોદીએ કહ્યું છે કે, ‘બિલાસપુરમાં થયેલી દુર્ઘટનામાં જાનહાનિથી દુઃખી છું. આ કઠિન સમયમાં મારી સંવેદનાઓ દુર્ઘટનાથી પ્રભાવિત લોકો અને તેમના પરિવારો સાથે છે. ઘાયલો વહેલીતકે સ્વસ્થ થાય, તે માટે પ્રાર્થના કરું છું.’

મૃતકના પરિજનો અને ઈજાગ્રસ્તો માટે સહાય જાહેર

પ્રધાનમંત્રીએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દરેક મૃતકના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી રૂપિયા બે લાખની અનુગ્રહ સહાય અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50,000 આપવાની જાહેરાત પણ કરી છે.

આ પણ વાંચો : ‘તમારું સ્વાગત કરવા આતુર...’ PM મોદીએ પુતિન સાથે વાત કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વ્યક્ત કરી સંવેદના

આ અકસ્માતને લઈને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ સંવેદના વ્યક્ત કરી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એક્સ પર પોસ્ટમાં લખ્યું છે કે, ‘બિલાસપુરમાં ભૂસ્ખલનના કારણે થયેલા બસ અકસ્માતમાં અનેક લોકોના મૃત્યુના સમાચાર અત્યંત દુઃખદ છે. પોતાના પ્રિયજનોને ગુમાવનાર પરિવારો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલ થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરું છું.’

આ પણ વાંચો : ‘અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં કોઈપણ હેરાફેરી થઈ નથી’ ALPAના આક્ષેપ બાદ નાગરિક ઉડ્ડયન મંત્રીનું નિવેદન