ભારે વરસાદના કારણે આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં 25 લોકોના મોત, અનેક વિસ્તારો જળબંબાકાર
Updated: Oct 14th, 2020
હૈદરાબાદ, તા. 14 ઓક્ટોબર 2020, બુધવાર
આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં થયેલા ભારે વરસાદના કારણે છેલ્લા 24 કલાકમાં ભારે તારાજી સર્જાઇ છે. ભારે વરસાદના કારણે બંને રાજ્યોમાં અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયા છે. વરસાદનો સૌથી વધારે પ્રલય હૈદરાબાદમાં જોવા મળ્યો છે. હૈદરાબાદમાં સતત પડેલા ભારે વરસાદના કારણે 15 લોકોએ જીવ ગુમાવ્યા છે. હૈદરાબાદમાં 15 લોકો સિવાય કુર્નૂલ નગરમાં 3 લોકોના મોત થયા છે. જેમાંથી 3 લોકોની મોત તો બદલાગુડામાં મોહમ્મદિયા હિલ્સમાં દિવાલ પડવાના કારણે થયા છે.
ભારે વરસાદના કારણે ચોતરફ જળબંબાકાર થયો છે. રોડ રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. કેટલાક વિસ્તારો તો સંપૂર્ણ જળમગ્ન થયા છે. બેટમાં ફેરવાયેલા આ વિસ્તારો સાથેનો સંપર્ક પણ તૂટી ગયો છે. તેલંગણામાં 18 અને આંધ્ર પ્રદેશમાં 7 લોકોના મોત થયા છે. સ્થાનિક તંત્ર અને એનડીઆરએફની ટીમો દ્વારા બચાવકાર્ય શરુ કરાયુ હતું. રેલવે, બસ સહિતનો વાહનવ્યવહાર ઠપ્પ થયો છે. રાજ્યના એવા કેટલાય વિસ્તારો છે જ્યાં લોકો ફસાયેલા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે ભારે વરસાદથી મુશ્કેલીમાં ફસાયેલા આંધ્ર પ્રદેશ અને તેલંગણાના મુખ્યમંત્રી સાથે વાત કરી અને તેમને તમામ સંભવ મદદ કરવાનો વિશ્વાસ આપ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ આ આફત અંગે દુખ વ્યક્ત કર્યુ છે. ઐ તરફ હૈદરાબાદમાં એનડીઆરએફની 4 ટીમો બચાવકાર્યમાં લાગેલી છે. બંને રાજ્યમાં રાહત કેમ્પો પણ ખોલવામાં આવ્યા છે.