Get The App

હમીરપુર બ્રિજ હોનારત: બેતવા નદી પર નિર્માણાધીન પુલનો સ્લેબ તૂટી પડતાં 6 શ્રમિકોના કરૂણ મોત

Updated: May 29th, 2026

GS TEAM

Google News
Google News
હમીરપુર બ્રિજ હોનારત: બેતવા નદી પર નિર્માણાધીન પુલનો સ્લેબ તૂટી પડતાં 6 શ્રમિકોના કરૂણ મોત 1 - image

Hamirpur Bridge Collapse: ઉત્તર પ્રદેશના હમીરપુરમાં મોડી રાત્રે એક મોટી દુર્ઘટના ઘટી છે. બેતવા નદી પર મવઈ જાર અને કુરારાને જોડતા નિર્માણાધીન પુલનો એક વિશાળ હિસ્સો ભયાનક વાવાઝોડા અને વરસાદ દરમિયાન તૂટી પડ્યો હતો. આ હૃદયદ્રાવક અકસ્માતમાં કાટમાળ નીચે દબાઈ જવાથી 6 શ્રમિકોના મોત નીપજ્યા છે. વહીવટી તંત્રે આ મામલે તપાસના આદેશ આપ્યા છે, પરંતુ સુરક્ષાના માપદંડોને લઈને ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે.

રાત્રે 3વાગ્યે સર્જાયો અકસ્માત

ગુરુવાર અને શુક્રવારની મધ્યરાત્રિએ હમીરપુરમાં કુદરતનો પ્રકોપ અને માનવસર્જિત બેદરકારીનો ભયાનક સમન્વય જોવા મળ્યો હતો. દુર્ઘટના રાત્રે આશરે 3 વાગ્યાની આસપાસ બની હતી. શ્રમિકો પોતાનું કામ પૂરું કરીને પુલના સ્લેબની નીચે અને આસપાસના વિસ્તારમાં આરામ કરી રહ્યા હતા. અચાનક આકાશમાં વીજળીના કડાકા-ભડાકા સાથે અત્યંત ઝડપી તોફાન શરૂ થયું હતું. પવનની ગતિ એટલી પ્રચંડ હતી કે નિર્માણાધીન પુલનો વિશાળ સ્લેબ પોતાનું સંતુલન ગુમાવી બેઠો અને જોતજોતામાં નીચે સૂતેલા શ્રમિકો પર ધસી પડ્યો હતો. સ્લેબ નીચે સૂતેલા શ્રમિકોને ભાગવાનો કે બચાવનો પણ મોકો ન મળ્યો અને તેઓ જીવતા જ કાટમાળ નીચે દફન થઈ ગયા.

પિલર પર ફસાયેલા 3 શ્રમિકોને બચાવાયા

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને SDRF ની (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે વરસાદ અને અંધારા વચ્ચે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન પુલના પિલર પર ફસાયેલા 3 શ્રમિકોને SDRFની ટીમે અત્યંત સાવચેતીપૂર્વક સુરક્ષિત બહાર કાઢી લીધા હતા. જોકે, કાટમાળ નીચે દબાયેલા અન્ય 6 શ્રમિકોને બચાવી શકાયા નહોતા. તેઓના મોત નિપજ્યાં હતા. 

અકસ્માતમાં જાન ગુમાવનારા મૃતકોની યાદી:

1. લોકેન્દ્ર નિષાદ (બાંદા)

2. કુલદીપ નિષાદ (બાંદા)

3. સાવંત યાદવ (બાંદા)

4. સભાજીત (બાંદા)

5. પુષ્પેન્દ્ર સિંહ ચૌહાણ (હમીરપુર)

6. રાજેશ પાલ (હમીરપુર)

માત્ર કાગળ પર જ સુરક્ષા કવચ? 

આ ભયાનક અકસ્માતે બાંધકામ કંપની અને સ્થાનિક પ્રશાસનની કામગીરી સામે મોટા પ્રશ્નાર્થચિહ્નો ઉભા કર્યા છે. હવામાન વિભાગ દ્વારા ભારે તોફાનની આગોતરી ચેતવણી આપવામાં આવી હોવા છતાં, શ્રમિકોને અસુરક્ષિત નિર્માણાધીન સ્લેબ નીચે આરામ કરવા માટે કેમ મજબૂર થવું પડ્યું? બાંધકામ સ્થળ પર શ્રમિકોના રોકાણ માટે યોગ્ય અને સુરક્ષિત શેડની વ્યવસ્થા કેમ કરવામાં આવી નહોતી? હાલમાં પ્રશાસને આ સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે, પરંતુ કાગળ પર મજબૂત દેખાતા સુરક્ષાના નિયમોએ હકીકતમાં 6 ગરીબ શ્રમિકોનો જીવ લઈ લીધો છે.