સરકારે પબ્લિક સેક્ટરની 12 બેંકોમાં ચાલુ નાણાકીય વર્ષમાં 48,239 કરોડની મૂડી ઠાલવવાની જાહેરાત કરી
કોર્પોરેશન બેંકમાં ૯૦૮૬ કરોડ, અલ્લાહાબાદ બેંકમાં ૬૮૯૬ કરોડ, પીએનબીમાં ૫૯૦૮ કરોડ ઠલવાશે
સરકારી બેંકોની મૂડી જરૃરિયાતોને ધ્યાનમાં રાખી લેવાયેલો નિર્ણય
Updated: Feb 20th, 2019
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૦
નાણા મંત્રાલયે આજે ચાલુ નાણાકીય વર્ષમાં પબ્લિક સેક્ટરની ૧૨ બેંકોમાં કુલ ૪૮,૨૩૯ કરોડ રૃપિયાની મૂડી ઠાલવવાની જાહેરાત કરી છે. મૂડી જરૃરિયાતો અને નાણાકીય વિકાસને ધ્યાનમાં રાખીને નાણા મંત્રાલયે પબ્લિક સેક્ટરની ૧૨ બેંકોમાં નાણા ઠાલવવાનો નિર્ણય લીધો છે.
નાણાકીય સેવાઓના સચિવ રાજીવકુમારે જણાવ્યું છે કે સરકાર કોર્પોરેશન બેંકમાં ૯૦૮૬ કરોડ રૃપિયા, અલ્લાહાબાદ બેંકમાં ૬૮૯૬ કરોડ રૃપિયાની મૂડી ઠાલવશે.
આરબીઆઇના સુપરવિઝન હેઠળ ચાલતા પ્રોમ્ટ કરેક્ટિવ એક્શન(પીસીએ) મુજબ કોર્પોરેશન બેંક અને અલ્લાહાબાદ બેંક સારી કામગીરી કરી રહી છે.
બેંક ઓફ ઇન્ડિયામાં ૪૬૩૮ કરોડ રૃપિયા, બેંક ઓફ મહારાષ્ટ્રમાં ૨૦૫ કરોડ રૃપિયા ઠાલવવામાં આવશે.
કુમારના જણાવ્યા મુજબ પંજાબ નેશનલ બેંકમાં ૫૯૦૮ કરોડ, યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં ૪૧૧૨ કરોડ, આંધ્ર બેંકમાં ૩૨૫૬ કરોડ અને સિંડિકેટ બેંકમાં ૧૬૦૩ કરોડ રૃપિયા ઠાલવવામાં આવશે.
આ ઉપરાંત અન્ય ચાર સરકારી બેંકો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, યુનાઇટેડ બેંક, યુકો બેંક અને ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં કુલ ૧૨,૫૩૫ કરોડ રૃપિયા ઠાલવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ ડિસેમ્બરમાં સરકારે સાત પબ્લિક સેક્ટર બેંકોમાં ૨૮,૬૧૫ કરોડ રૃપિયા નાખ્યા હતાં.