UPSમાં સામેલ કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, પેન્શન યોજનામાં કરાયો મહત્ત્વનો ફેરફાર
UPS And NPS Benefits : કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) હેઠળ ઉપલબ્ધ કર લાભો હવે નવી યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) પર પણ લાગુ થશે. નાણા મંત્રાલયે 24 જાન્યુઆરીએ નોટિફિકેશન જાહેર કરી યુપીએસ રજૂ કર્યું હતું. આ યોજના પહેલી એપ્રિલ-2025થી લાગુ કરવામાં આવી છે અને કેન્દ્ર સરકારની સિવિલ સેવામાં નવા ભરતી થયેલા કર્મચારીઓ માટે એનપીએસના વિકલ્પ તરીકે ઉપલબ્ધ છે. આ ઉપરાંત, હાલના એનપીએસ કર્મચારીઓને પણ યુપીએસમાં સ્વિચ કરવાની એક વખતની તક મળશે. આ યોજનાને અમલમાં મૂકવા માટે, પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)એ 19 માર્ચે યુપીએસ સંબંધિત નિયમો જારી કર્યા હતા.
સરકારે બંને યોજના સમાન કરી
યુપીએસને એનપીએસ જેટલી જ કર મુક્તિ આપવાના સરકારના નિર્ણયનો અર્થ એ છે કે હવે બંને યોજનાઓ સમાન હશે. આનાથી કર્મચારીઓને કર રાહત મળશે અને તેમને નવી યોજના અપનાવવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવશે. એનપીએસની સૌથી મોટી સમસ્યા એ હતી કે, તેમાં પહેલાની "વ્યાખ્યાયિત લાભ" એટલે કે કોઈ નિશ્ચિત માસિક પેન્શન નહોતું. આમાં, એક નિશ્ચિત રકમનું રોકાણ કરવામાં આવે છે, પરંતુ વળતર બજાર પર આધાર રાખે છે, જેના કારણે નિવૃત્તિ પછી મળતી રકમ અનિશ્ચિત હોય છે.
એનપીએસ સરખામણીમાં યુપીએસ ગેરંટીકૃત પેન્શન આપશે
જો કર્મચારીએ 25 વર્ષ કે તેથી વધુ સમય માટે સેવા આપી હોય, તો છેલ્લા 12 મહિનાના સરેરાશ પગારના 50 ટકા પેન્શન તરીકે અપાશે. જેમણે 10 વર્ષથી ઓછા સમય માટે સેવા આપી છે, તેમને દર મહિને ઓછામાં ઓછા 10,000 રૂપિયા પેન્શનની ગેરેટી અપાશે. જેમણે 10થી 25 વર્ષ માટે સેવા આપી છે, તેમને તે જ પ્રમાણમાં પેન્શન આપવામાં આવશે. ઉપરાંત, મોંઘવારી ભથ્થા દ્વારા પેન્શન મોંઘવારી મુજબ વધતું રહેશે, જે એનપીએસમાં થતું નથી.