હિમાચલ પ્રદેશમાં પૂર મામલે ભાજપમાં અંદરોઅંદર ડખા, કંગના રણૌત પર ગુસ્સે થયા ભાજપના પૂર્વ CM
Jairam Thakur Vs Kangana Ranaut Over Mandi Flood : હિમાચલમાં મેઘતાંડવમાં ભયાનક તબાહી સર્જાઈ છે. રાજ્યમાં પૂર, ભૂસ્ખલનની ઘટનાઓમાં અત્યાર સુધીમાં 64 લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે આ કુદરતી આફતને લઈ રાજ્યમાં રાજકારણ શરુ થઈ ગયું છે. રાજ્યમાં મંડીમાં પણ ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે અહીં જાનમાલને ભારે નુકસાન થયું છે. આટલી મોટી આફત છતાં મંડીના લોકસભાના સાંસદ કંગના રનૌતે વિસ્તારની મુલાકાત ન લેતાં રાજકારણ શરુ થઈ ગયું છે. એટલું જ નહીં સ્થાનિક લોકો પણ નારાજ થઈને સોશિયલ મીડિયામાં કંગના પર ગુસ્સો ઠાલવી રહ્યા છે. બીજીતરફ વિરોધ વધ્યા બાદ કંગનાએ પણ જવાબ આપ્યો છે.
‘મંડી મુસીબતમાં છે, કંગના રનૌત ક્યાં છે?’
મંડીની સાંસદ હોવા છતાં કંગના રનૌતે સ્થિતિનો તાગ ન મેળવતાં સ્થાનિક લોકો પણ ભડકી ઉઠ્યા છે અને સોશિયલ મીડિયા પર સતત પૂછી રહ્યા છે કે, ‘મંડી મુસીબતમાં છે, કંગના રનૌત ક્યાં છે?’ આફતમાં સ્થાનિક લોકો મુશ્કેલીમાં મૂકાયા છે, તો બીજીતરફ વિપક્ષ નેતા જયરામ ઠાકુરે કંગના રનૌત પર નિશાન સાધ્યું છે. આફતનો સામનો કરી રહેલા હિમાચલમાંથી કંગના ગેરહાજર દેખાતાં જયરામ ઠાકુરે પ્રેસ કોન્ફરન્સ કરી નારાજગી વ્યક્ત કરી છે. બીજી તરફ કંગનાએ પોતાના બચાવમાં સોશિયલ મીડિયા પર કહ્યું કે, તે ટૂંક સમયમાં પ્રદેશમાં આવશે.
‘જયરામ ઠાકુરની સલાહના કારણે હું ન ગઈ’
મંડીમાં મેઘતાંડવ બાદ કંગના રનૌત પોતાના મતવિસ્તારમાં ન દેખાતાં તેણી અનેક સવાલો અને ટીકાનો સામનો કરી રહી છે. વિરોધ વધ્યા બાદ કંગનાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. તેણે લખ્યું છે કે, તે સિરાજ અને મંડીના અન્ય પૂરગ્રસ્ત વિસ્તારમાં જવા માંગતી હતી, પરંતુ જયરામ ઠાકુરની સલાહના કારણે અટકી ગઈ છે. જયરામ ઠાકુરે કંગનાને સલાહ આપી હતી કે, વિસ્તારમાં કનેક્ટિવીટી નથી, ત્યાં પહોંચવાની સ્થિતિ પણ ખરાબ છે, તેથી ત્યાં હાલ ન જવું જ યોગ્ય છે.
જયરામ ઠાકુરે કંગના પર સાધ્યું નિશાન
પૂર અને ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોની મુલાકાત ન લેવા મામલે ભાજપના સીનિયર નેતા અને પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુરે નામ લીધા વગર કંગના રનૌત પર નિશાન સાધ્યું છે. ઠાકુરે નારાજગી વ્યક્ત કરી કહ્યું કે, ‘જેમને પોતાના વિસ્તારની ચિંતા નથી, તેમના પર હું કોઈ ટિપ્પણી નહીં કરું. અમે લોકો અહીં જીવવા-મરવા માટે છીએ. હું કંગના પર કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી.’
કોંગ્રેસે કંગના પર સાધ્યું નિશાન
કોંગ્રેસે કંગનાની ટીકા કરી છે. કોંગ્રેસે એક્સ પર ટ્વિટ કરીને કહ્યું કે, ‘સાંસદ કંગના રનૌતને મંડીના લોકોની ચિંતા નથી. આ વાત અમે નહીં, હિમાચલના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા જયરામ ઠાકુર કહી રહ્યા છે.’ વાસ્તવમાં હિમાચલમાં મેંઘતાડવ સર્જાતા પૂર અને ભૂસ્ખલનની અનેક ઘટનાઓ બની છે, તેમ છતાં મંડીના સાંસદ કંગના રનૌત ગાયબ છે.
મંડીમાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત
હિમાચલમાં ભારે વરસાદ પડતાં 64 લોકોના મોત થયા છે અને અનેક લોકો ગુમ થયા છે. એટલું જ નહીં ભારે પૂર અને પાણીના પ્રવાહના કારણે અનેક લોકો ઘરવિહોણા થયા છે. સૌથી વધુ અસર મંડી જિલ્લામાં થઈ છે. અહીં અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે, અનેક માર્ગોને પણ નુકસાન થતા સંપર્ક તુટી ગયો છે, હજારો લોકો અસરગ્રસ્ત થયા છે. ભયાવહ સ્થિતિ અને સતત પડી રહેલા વરસાદના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં પણ મુશ્કેલી ઊભી થઈ રહી છે.