India

આંદોલન ઉગ્ર બને તે પહેલાં જ સરકાર એક્ટિવ ! આ રાજ્યમાં તાત્કાલીક જાહેર કરી 32,388 શિક્ષણ ભરતી

By GS Team
18 Aug 20262 mins read
TukuTouch Logo
બિહારમાં શિક્ષક ભરતી મુદ્દે ગર્દનીબાગ ખાતે વિદ્યાર્થીઓના આંદોલન બાદ તંત્ર સફાળું જાગ્યું છે. BPSC દ્વારા 32,388 જગ્યાઓ માટે ચોથા તબક્કાની શિક્ષક ભરતીનું જાહેરનામું બહાર પડાયું છે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની આ ભરતી માટે 1 સપ્ટેમ્બર 2026 થી અરજી પ્રક્રિયા શરૂ થશે. વિદ્યાર્થીઓએ "આ પહેલું પગલું છે, લડાઈ બાકી છે" તેમ જણાવી પારદર્શિતાની માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આંદોલન ઉગ્ર બને તે પહેલાં જ સરકાર એક્ટિવ ! આ રાજ્યમાં તાત્કાલીક જાહેર કરી 32,388 શિક્ષણ ભરતી

Bihar Teacher Recruitment : બિહારમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓના આંદોલન અને આમરણાંત ઉપવાસ સામે વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. પટનાના ગર્દનીબાગમાં વિદ્યાર્થીઓ ધરણા પર બેઠાના ગણતરીના કલાકોમાં જ બિહાર જાહેર સેવા આયોગ (BPSC) દ્વારા ચોથા તબક્કાની શાળા શિક્ષક ભરતી પરીક્ષા (TRE-4.0) માટેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે.

32,388 જગ્યાઓ પર બમ્પર શિક્ષક ભરતી

આયોગ દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર ચોથા તબક્કામાં કુલ 32,388 ખાલી પદો પર શિક્ષકોની ભરતી કરવામાં આવશે. જેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોનો સમાવેશ થાય છે. આ ભરતી માટે 1 સપ્ટેમ્બર 2026 થી અરજી પ્રક્રિયા શરૂ થશે, જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2026 રાખવામાં આવી છે.

ગર્દનીબાગમાં વિદ્યાર્થીઓનું ઉગ્ર આંદોલન

મંગળવારે 18 ઓગસ્ટની સવારે છાત્ર નેતા દિલીપ કુમારના નેતૃત્વ હેઠળ હજારો ઉમેદવારો ગર્દનીબાગ ખાતે અચોક્કસ મુદતના ઉપવાસ પર બેસી ગયા હતા. વિદ્યાર્થીઓની સ્પષ્ટ માંગ હતી કે શિક્ષણ મંત્રી મિથિલેશ તિવારીએ જુલાઈમાં જાહેરાત બહાર પાડવાનું જે વચન આપ્યું હતું તે તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે અથવા તો તેઓ રાજીનામું આપે. વિદ્યાર્થીઓએ ચેતવણી આપી હતી કે જો 5 દિવસમાં નોટિફિકેશન નહીં આવે તો સીધો વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે. આંદોલન વધારે ઉગ્ર બને તે પહેલાં જ સરકારે સાંજ સુધીમાં ભરતીનું નોટિફિકેશન બહાર પાડી દીધું હતું, જે નિર્ણયને ચિરાગ પાસવાને પણ આવકાર્યો હતો.

'હજુ આ પહેલું પગલું છે, લડાઈ બાકી છે'

ભરતીનું જાહેરનામું આવ્યા બાદ પણ આંદોલનકારી વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે, 'હજુ આ માત્ર પહેલું પગલું છે, લડાઈ બાકી છે.' વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેઓ માત્ર વચનો પર નહીં પરંતુ નિયમો અને ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા પર નજર રાખશે. આ સાથે જ સિંગલ ફેઝ પરીક્ષા લેવા, BSSC માં કોન્ટ્રાક્ટ વેઇટેજ હટાવવા અને છેલ્લા 18 વર્ષથી અટવાયેલી લાઇબ્રેરિયન ભરતી તાત્કાલિક શરૂ કરવા જેવી માંગણીઓ પર પણ સરકાર પાસે સ્પષ્ટ જવાબ માંગવામાં આવી રહ્યો છે.