સરસવના જીનેટિક મોડિફાઇડ બીયારણથી મધમાખી જેવા કિટકોને ખતરો, પર્યાવરણવાદીઓ બન્યા ચિંતિત
સ્વદેશી ધોરણે તૈયાર થયેલા સરસવના જીએમ બિયારણને મંજૂરી મળી છે
કુદરતી રીતે થતા પરાગનયન અને ફલિનીકરણ પર વિપરીત અસરનો ભય
Updated: Dec 9th, 2022
નવી દિલ્હી,૯ ડિસેમ્બર,૨૦૨૨,શુક્રવાર
જીનેટિક મોડિફાઇડ એટલે કે જીનમાં ફેરફાર કરીને તૈયાર કરવામાં આવતા ખેત બિયારણનો વિરોધ થતો રહે છે પરંતુ ભારતમાં સ્વદેશી ધોરણે તૈયાર થયેલા સરસવના જીએમ બિયારણને મંજૂરી આપી છે. ભારતમાં અત્યાર સુધી માત્ર કપાસમાંનું જ જીનેટિક મોડિફાઇડ બિયારણ વાવવાની છૂટ આપવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર હવે સરસવ પણ ઉગાડી શકાશે. આને જીનેટિક એન્જીનિયર્ડ નામ આપવામાં આવ્યું છે પરંતુ તે જીએમ પાકનું જ બીજુ નામ છે.
ભારતમાં સરસવના તલનો વ્યાપક ઉપયોગ થાય છે. સરસવ ઉપરાંત કપાસિયા, મગફળી, કોર્ન ઓઇલ, પામોલીન પણ જાણીતા ખાધ તેલો છે. ઘર આંગણે ખાધ તેલો બાબતે ભારત આત્મનિર્ભર નહી હોવાથી પામોલીન જેવા તેલોની આયાત કરવી પડે છે. ભારતે ખોરાકમાં ઉપયોગમાં લેવાતા તેલની ખરીદીમાં વર્તમાન વર્ષના માર્ચ મહિના સુધી ૧૯ અબજ ડોલર રુપિયાનો ખર્ચ કરવો પડયો છે.
આવા સંજોગોમાં સરસવનું વધુ ઉત્પાદન અને તેલ માટે થાય તે જરુરી છે. ભારતમાં જે હદે વસ્તી વધી રહી છે તે જોતા ઘર આંગણે તેલિબિયાનું ઉત્પાદન વધારવાની જરુર છે. આથી સંશોધકો જીએમ સરસવને લઇને ઉત્સાહિત છે.જો કે પર્યાવરણવાદીઓ અને કેટલાક સંશોધક જીએમ મસ્ટર્ડ ખેતીના પાકોમાં ઉપયોગી બનતા કીટકો અને મધમાખીઓ માટે ખતરો પેદા કરશે. આથી કુદરતી રીતે થતા પરાગનયન અને ફલિનીકરણ પર વિપરીત અસર થશે.જીએમ મસ્ટર્ડમાં કીટનાશક દવાઓનો વધારે ઉપયોગ કરવો પડતો હોઇ ખેતરના જીવજંતુઓ માટે ખતરનાક સાબીત થઇ શકે છે.