'...તો બિહારમાં નેપાળ-બાંગ્લાદેશ જેવી સ્થિતિ થશે', વિવાદિત નિવેદન આપનારા RJD નેતા વિરુદ્ધ FIR

Bihar Election Results: બિહારમાં બંને તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ આવતીકાલે(14 નવેમ્બર) પરિણામ જાહેર થશે. બિહાર વિધાનસભા ચૂંટણીના બંને તબક્કામાં ભારે મતદાન થયું. વિધાનસભાની કુલ 243 બેઠકો માટે કુલ 66.91 ટકા મતદાન થયું. ત્યારે હવે RJDના MLCના વિવાદિત નિવેદનને લઈને તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોને લઈને વિવાદિત નિવેદન આપવા અંગે લાલુ યાદવ અને તેજસ્વી યાદવની પાર્ટી RJDના MLC સુનીલ કુમાર સિંહ ફસાયા છે. બિહાર પોલીસ વડા (DGP) વિનય કુમારે સુનીલ સિંહ પર FIRના આદેશ આપ્યા છે. સુનીલ સિંહે ગુરુવારે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, '2020માં ચાર-ચાર કલાક મતગણતરી અટકાવી દેવાઈ હતી. જો બિહાર ચૂંટણીની મતગણતરી દરમિયાન જો કોઈ હેરાફેરી કરવામાં આવી તો બિહારના રોડ પર પણ એ જ દૃશ્ય જોવા મળશે જે નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં જોવા મળ્યું હતું. ત્યાં જે પ્રકારની સત્તાના વિરોધમાં લહેર ઉઠી એવી સ્થિતિ બની જશે. પરિસ્થિતિ પર કાબૂ મેળવવું મુશ્કેલ થશે. સરકારમાં સામેલ લોકો ગડબડી કરી શકે છે. આ વખતે એવું કર્યું તો મોંઘું પડશે.'
આ પણ વાંચો: એક્ઝિટ પોલમાં જીતનું અનુમાન છતાં કેમ વધ્યા NDAના ધબકારા? ડરાવી રહ્યો છે આ આંકડો
સુનીલ કુમાર સિંહે એક્ઝિટ પોલ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, 'મતદારો મત માટે લાઇનમાં લાગ્યા હતા અને એક્ઝિટ પોલ આવવા લાગ્યા. 4 કરોડ 98 લાખ મત અપાયા પછી 50થી ઓછી બેઠક RJDને કેવી રીતે મળી રહી? બિહારના લોકો ચિંતિત છે કે મત ગઠબંધનને મળી રહ્યા છે તો NDAને જીત કેમ? એક્ઝિટ પોલ ષડયંત્ર છે.'

આ પણ વાંચો: બિહાર ચૂંટણીમાં રૅકોર્ડ મતદાનના 5 મોટા ફેક્ટર, મતદારો કેવી રીતે બૂથ સુધી આકર્ષાયા?
જોકે, RJD નેતા પોતાના નિવેદન પર અડગ છે. તેમણે ખાનગી ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં કહ્યું કે, 'મેં એવું ક્યારેય નથી કહ્યું. લોકો પોત-પોતાની રીતે નિવેદન રજૂ કરી રહ્યા છે. મેં કહ્યું હતું કે હાલની સરકાર દ્વારા ખોટી રીતે અમારા જીતેલા ઉમેદવારોને હરાવાયા તો આ સહન નહીં કરવામાં આવે. જનતા સંપૂર્ણ રીતે જાગૃત છે. જનતા રોડ પર આવવા માટે તૈયાર છે અને જે રાજ્યમાં તે સમયે થશે તે અદ્ભુત હશે, કોઈ તેને સંભાળી નહીં શકે.'

