Explainer: ભારતની પહેલી હાઇડ્રોજન ટ્રેન દોડવા માટે તૈયાર, જાણો તેના રૂટ અને કેટલી સુરક્ષિત છે આ ટ્રેન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

First Hydrogen Train in India: ભારતીય રેલવેના ઇતિહાસમાં એક નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે. અત્યાર સુધી આપણે કોલસા, ડીઝલ અને વીજળીથી ચાલતી ટ્રેનો જોઈ છે, પરંતુ હવે ભારતીય રેલવે પ્રદૂષણ મુક્ત અને સંપૂર્ણ ગ્રીન એનર્જી તરફ ડગ માંડી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 17 જુલાઈના રોજ ભારતની સૌપ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનને લીલી ઝંડી બતાવવા જઈ રહ્યા છે. હવામાં ધુમાડાના બદલે માત્ર પાણીની વરાળ છોડતી આ ટ્રેન ભારતીય પરિવહન ક્ષેત્રે એક ક્રાંતિકારી સીમાચિહ્ન સાબિત થશે.
રૂટ, સમયપત્રક અને મુસાફરોની ક્ષમતા
આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેન હરિયાણાના જીંદથી સોનીપત વચ્ચે દોડશે.
- અંતર અને ફેરા: આ ટ્રેન જીંદથી સોનીપત વચ્ચેનું 89 કિ.મી.નું અંતર કાપશે. તે રોજની 2 રાઉન્ડ ટ્રીપ કરશે, એટલે કે દિવસ દરમિયાન કુલ 356 કિ.મી.ની મુસાફરી કરશે.
- ક્ષમતા: ટ્રેનમાં બેસવા માટે 682 સીટોની વ્યવસ્થા છે. જો કે, આ ટ્રેન એકસાથે 2600 મુસાફરોને લઈ જવા સક્ષમ છે.
- નોકરિયાતો માટે આશીર્વાદરૂપઃ નોકરી-ધંધા કે અભ્યાસ માટે દિલ્હી-NCR અને હરિયાણા વચ્ચે અવરજવર કરતા મુસાફરો માટે આ ટ્રેન આશીર્વાદરૂપ સાબિત થશે.
કેવી રીતે કામ કરે છે આ હાઇડ્રોજન ટેક્નોલોજી?
પરંપરાગત ડીઝલ એન્જિનથી વિપરીત, આ ટ્રેનમાં 1200 કિલોવોટની હાઇડ્રોજન ફ્યુઅલ સેલ પ્રોપલ્શન સિસ્ટમ લગાવવામાં આવી છે. આ સિસ્ટમમાં ટ્રેનમાં સંગ્રહિત હાઇડ્રોજન અને વાતાવરણનો ઓક્સિજન એકબીજા સાથે પ્રતિક્રિયા કરીને વીજળી ઉત્પન્ન કરે છે. આ જ વીજળીથી ટ્રેનની મોટર ચાલે છે. સૌથી સારી બાબત એ છે કે આ પ્રક્રિયામાં બાય-પ્રોડક્ટ તરીકે માત્ર પાણી અને વરાળ (Water Vapor) જ બહાર નીકળે છે, જે પર્યાવરણને 0% નુકસાન પહોંચાડે છે.
નેટ ઝીરો કાર્બન એમિશનના લક્ષ્યાંક તરફનું પગલું
આ પ્રોજેક્ટ ભારતીય રેલવેના 'નેટ ઝીરો કાર્બન એમિશન 2030'ના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવામાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવશે. જે રૂટ પર ઓવરહેડ ઇલેક્ટ્રિક લાઇનો નાખવી તાત્કાલિક શક્ય નથી અથવા આર્થિક રીતે પોસાય તેમ નથી, ત્યાં આ ટ્રેન શ્રેષ્ઠ વિકલ્પ છે.
ડીઝલ ગાડી જેટલી જ ઝડપ
ભારતીય રેલવે દ્વારા આ ટ્રેનને મહત્તમ 110 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે સામાન્ય DEMU (ડીઝલ ઇલેક્ટ્રિક મલ્ટીપલ યુનિટ) ટ્રેનો જેટલી જ છે.
ઝડપી રિફ્યુલિંગ
હાઈડ્રોજન ટ્રેનની એક ખાસિયત એ છે કે તે ઈલેક્ટ્રિક ટ્રેનની જેમ ચાર્જિંગમાં કલાકો નથી લેતી. તેમાં ડીઝલની જેમ જ ખૂબ જ ઝડપથી (આશરે 15 થી 20 મિનિટમાં) રિફ્યુલિંગ થઈ જાય છે.
રેલવેનો ‘સ્માર્ટ મૂવ’
આ ટ્રેન નવી બનાવવામાં નથી આવી કે વિદેશથી આયાત (ઇમ્પોર્ટ) પણ કરવામાં નથી આવી, કેમ કે એમ કરવું ખૂબ મોંઘું પડે. ભારતીય રેલવે દ્વારા એક ખૂબ જ સ્માર્ટ અને ઇકોનોમિકલ અભિગમ અપનાવવામાં આવ્યો છે, જેને ટેકનિકલ ભાષામાં 'રિટ્રોફિટિંગ' (Retrofitting) કહેવામાં આવે છે.
- જૂની ટ્રેન, નવું હૃદય: જૂની ડીઝલ ઇલેક્ટ્રિક ટ્રેનમાંથી પ્રદૂષણ ફેલાવતું ડીઝલ એન્જિન અને જૂની સિસ્ટમ દૂર કરાઈ છે.
- હાઇડ્રોજન કિટનું ઇન્સ્ટોલેશન: ડીઝલ એન્જિન હટાવીને તેની જગ્યાએ અત્યાધુનિક 1200 કિલોવોટની 'હાઇડ્રોજન ફ્યુઅલ સેલ પ્રોપલ્શન સિસ્ટમ' ફિટ કરવામાં આવી છે. ટ્રેનની છત પર કે અન્ય સુરક્ષિત જગ્યાએ હાઇડ્રોજન ગેસ સ્ટોર કરવા માટેની ખાસ ટાંકીઓ (સ્ટોરેજ સિસ્ટમ) બેસાડવામાં આવી છે.
- બાકીનું માળખું એ જ: ટ્રેનની બોડી (ડબ્બા), મુસાફરોની બેઠક વ્યવસ્થા, પૈડાં અને બાકીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ જ રખાયું છે, જે જૂની ટ્રેનનું હતું.
- પ્રોજેક્ટ ખર્ચઃ આ સમગ્ર પાયલોટ પ્રોજેક્ટ માટે રેલવે મંત્રાલય દ્વારા રૂ. 111.83 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં ડીઝલ ટ્રેનને રિટ્રોફિટ (મોડિફાય) કરવાનો, જીંદ ખાતે હાઇડ્રોજન પ્લાન્ટ, સ્ટોરેજ સિસ્ટમ અને રિફ્યુઅલિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનો સમાવેશ થાય છે. જીંદ ખાતેનો હાઇડ્રોજન પ્લાન્ટ સોલાર એનર્જીનો ઉપયોગ કરીને પાણીમાંથી હાઈડ્રોજન અલગ કરશે, જેને શુદ્ધ 'ગ્રીન હાઈડ્રોજન' કહેવાય છે.
સુરક્ષાના સવાલ: શું હાઇડ્રોજન ટ્રેન સુરક્ષિત છે?
હાઇડ્રોજન અત્યંત જ્વલનશીલ હોવાથી સુરક્ષા અંગે ચિંતા થવી સ્વાભાવિક છે. પરંતુ ભારતીય રેલવેએ આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરી છે.
- લીક ડિટેક્શન: ટ્રેનમાં અત્યાધુનિક હાઇડ્રોજન લીક ડિટેક્ટર્સ અને ફ્લેમ સેન્સર્સ લગાવવામાં આવ્યા છે, જે નાનામાં નાનું લીક થતાં જ સિસ્ટમને આપમેળે બંધ કરી દેશે.
- ઝડપી વિખેરણ: હાઇડ્રોજન એ કુદરતનું સૌથી હલકું તત્વ છે. જો કદાચ તે લીક થાય, તો પણ તે પેટ્રોલ કે ડીઝલની જેમ જમીન પર ફેલાવાને બદલે વાતાવરણમાં ખૂબ જ ઝડપથી ઉપર તરફ ઉડી જાય છે, જેથી આગ લાગવાનું જોખમ નહિવત થઈ જાય છે.
વૈશ્વિક સ્તરે ભારતનું સ્થાન ક્યાં?
આ લોન્ચિંગ સાથે જ ભારત વિશ્વના એવા ગણ્યાગાંઠ્યા દેશોની ક્લબમાં સામેલ થઈ જશે જેઓ ગ્રીન હાઇડ્રોજન રેલ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે.
- જર્મની: આ દેશે વર્ષ 2022માં વિશ્વની સૌપ્રથમ કમર્શિઅલ હાઇડ્રોજન ટ્રેન શરૂ કરી હતી.
- ચીન અને જાપાન: એશિયામાં ચીન આ ટેક્નોલોજીનું સફળ પરીક્ષણ કરી ચૂક્યું છે અને જાપાનમાં પ્રોટોટાઇપ ટ્રાયલ ચાલુ છે.
અમેરિકા, ફ્રાન્સ, ઇટાલી અને યુકે જેવા દેશો પણ આ દિશામાં ઝડપથી આગળ વધી રહ્યા છે.
ગ્રીન ટ્રાન્સપોર્ટના ક્ષેત્રમાં દુનિયાનું નેતૃત્વ કરવા ભારત તૈયાર
હરિયાણાનો જીંદ-સોનીપત રૂટ માત્ર એક શરૂઆત છે. આ કોરિડોર પરથી મળેલા ડેટા અને સફળતાના આધારે ભારતીય રેલવે આગામી સમયમાં દેશના અન્ય હિલ સ્ટેશનો અને પ્રવાસી રૂટો (જેમ કે કાલકા-શિમલા હેરિટેજ રૂટ) પર પણ હાઇડ્રોજન ટ્રેનો દોડાવવાનું આયોજન કરી રહી છે. આ પ્રોજેક્ટ સાબિત કરે છે કે ભારત હવે માત્ર વૈશ્વિક ટેક્નોલોજીને અપનાવી નથી રહ્યું, પરંતુ ગ્રીન ટ્રાન્સપોર્ટના ક્ષેત્રમાં દુનિયાનું નેતૃત્વ કરવા પણ તૈયાર છે.









