પાકિસ્તાન માટે પ્રેમ બતાવનારા સિધ્ધુની 'કોમેડી નાઈટ્સ..'માંથી હકાલપટ્ટી
Updated: Feb 16th, 2019
નવી દિલ્હી,તા.16.ફેબ્રુઆરી 2019, શનિવાર
પુલવામા આતંકવાદી હુમલા બાદ પૂર્વ ક્રિકેટર અને રાજનેતા નવજોતસિંહ સિધ્ધુએ પાકિસ્તાન સાથે વાતચીત ચાલુ રહેવી જોઈએ તેવુ વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતુ.એ પછી લોકોએ ટીવી શો કોમેડી નાઈટ્સ વિથ કપિલ શર્મામાંથી સિધ્ધુની હકાલપટ્ટીની માંગ કરી હતી.
લોકોના રોષને જોઈને ટીવી ચેનલે હવે સિધ્ધુની આ શોમાંથી હકાલપટ્ટી કરી નાંખી છે.સિધ્ધુના સ્થાને હવે અર્ચના પૂરણસિંહ આ શોમાં નજરે પડશે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પાકિસ્તાન જઈને આર્મી ચીફ જાવેદ બાજવાને ગળે લગાવનારા સિધ્ધુએ આતંકવાદી હુમલા પર પ્રત્યાઘાત આપતા કહ્યુ હતુ કે આતંકવાદીઓનો કોઈ ધર્મ નથી હોતો.ગાળો આપવાતી સમાધાન નહી થાય.આતંકવાદનો ઉપાય શોધવો પડશે.
તેમણે ક્હયુ હતુ કે આતંકવાદીઓનો ધર્મ, દેશ,કે જાતિ નથી હોતી.લોઢુ જ લોઢાને કાપે છે.જ્યાં જ્યા લડાઈ ચાલતી હોય છે ત્યાં મંત્રણા પણ સાથે સાથે થતી હોય છે.આતંકવાદનુ સ્થાયી સમાધાન શોધવાની જરુર છે.
સિધ્ધુએ કહ્યુ હતુ કે આતંકવાદીઓને સજા તો મળવી જ જોઈએ પણ તેની સાથે વાતચીત અને આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ વધારીને તેનુ સમાધાન શોધવુ જોઈએ.માત્ર ગાળો આપવાથી બધુ ઠીક નહી થાય.ક્યાં સુધી આપણા જવાનો શહીદ થતા રહેશે?ક્યાં સુધી લોહી વહેતુ રહેશે.દરેક દેશમાં સારા ખરાબ અને બહુ ખરાબ લોકો હોય છે પણ એનો મતલબ એ નથી કે તમે આખી કોમને ખરાબ ગણો.